નવા વર્ષની શરૂઆતમાં છત્તીસગઢના નારાયણપુરથી આદિવાસીઓ ભડક્યાના સમાચાર આવ્યા હતા. બીજા દિવસે, એટલે કે 2 જાન્યુઆરીએ એક વીડિયો સામે આવ્યો, જેમાં મહિલાઓ નારાયણપુર પોલીસના SIને મારતી જોવા મળી. ફૂટેજમાં પોલીસ ભાગતી જોવા મળી અને મહિલાઓ સહિતનું ટોળું તેની પાછળ દોડતું રહ્યું.
વાસ્તવમાં આ સમગ્ર મામલો છત્તીસગઢમાં ખ્રિસ્તી મિશનરીઓ અને આદિવાસીઓ વચ્ચેની અથડામણનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્રિશ્ચિયન મિશનરી કથિત રીતે ધર્મપરિવર્તન કરાવી રહ્યો છે. ગુસ્સે થયેલાં ટોળાએ પહેલાં ચર્ચમાં તોડફોડ કરી. પછી અથડામણ હિંસામાં ફેરવાઈ ગઈ. ટોળાએ પોલીસ પાર્ટી પર પથ્થરથી હુમલો કર્યો, એસપીનું માથું ફૂટી ગયું અને લોહી વહેવા લાગ્યું.
આ ઘટનામાં સવાલ એ છે કે ટોળું એસપી પર હુમલો કરી રહ્યું હતું ત્યારે પોલીસે બળપ્રયોગ કેમ ન કર્યો. જ્યારે અમે આ સવાલનો જવાબ શોધ્યો ત્યારે ત્રણ મહત્ત્વનાં કારણો સામે આવ્યાં...
અનુસૂચિત જાતિ-જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 હેઠળ, પહેલા ફરિયાદ થવા પર એફઆઈઆર વિના ધરપકડ કરવાની જોગવાઈ છે. ધરપકડ માટે અગાઉથી મંજૂરી લેવાની જરૂર નથી. આ અંતર્ગત CrPCની કલમ 438 હેઠળ આગોતરા જામીન પણ આપી શકાય નહીં.
આવા કેસમાં માત્ર કોર્ટ જ નક્કી કરી શકે છે કે કાયદાની કલમ 18-A હેઠળ કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારોનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે નહીં. ઉપરાંત આવા કિસ્સાઓમાં જીવનના અધિકાર, સમાનતા અને સ્વતંત્રતાનું ઉલ્લંઘન થયું છે કે કેમ એ ફક્ત કોર્ટ જ નક્કી કરી શકે છે, એટલે કે મામલો પોલીસ સુધી પહોંચે ત્યારે ધરપકડ નક્કી છે.
રાજ્ય સરકારે એક્શન લેવાના આદેશ ન આપ્યા
છત્તીસગઢના નારાયણપુરથી સામે આવેલા વિઝ્યુઅલમાં પોલીસ ભીડની સામે લાચાર જોવા મળી હતી. ભીડમાં સામેલ લોકો પાસે પણ લાકડીઓ અને સળિયા હતા, પોલીસે તેમના પર બળપ્રયોગ કર્યો ન હતો. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર તરફથી આદિવાસીઓ પર બળનો ઉપયોગ ન કરવાની સૂચનાઓ મળી હોવાથી આવી સ્થિતિ બની. ટોળું આક્રમક બની જતાં પોલીસ પણ પોતાને બચાવવા દોડતી જોવા મળી હતી.
વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે
છત્તીસગઢ સહિત દેશની 10 વિધાનસભા માટે 2023ના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજ્યની કુલ 90 વિધાનસભા બેઠકમાંથી 29 આદિવાસીઓ (ST) માટે અનામત છે. ચૂંટણીના થોડા મહિનાઓ પહેલાં કોઈપણ રાજકીય પક્ષ આદિવાસી સમુદાયની નારાજગી ભોગવવા માગશે નહીં, જે રાજ્યની એક તૃતીયાંશ બેઠકોનું પરિણામ નક્કી કરે છે. આ પણ એક કારણ છે કે આ મામલે નારાજ આદિવાસી લોકો સામે કડક કાર્યવાહી ન થઈ.
હવે સમજો વિવાદ કેવી રીતે શરૂ થયો...
છત્તીસગઢના નારાયણપુરમાં શનિવારે 31 ડિસેમ્બરની રાત્રે વિવાદ શરૂ થયો હતો. કથિત ધર્મપરિવર્તનથી ગુસ્સે ભરાયેલા કેટલાક લોકો હથિયારો અને લાકડીઓ સાથે ગોરા ગામમાં પ્રવેશ્યા હતા. રવિવારે, 1 જાન્યુઆરીએ પણ બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. આ પછી આદિવાસી સમાજે એક બેઠક બોલાવી અને બીજા પક્ષ પર બળજબરીથી ધર્મપરિવર્તન કરવાનો આરોપ લગાવ્યો. આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.
ટોળાએ સ્થાનિક ચર્ચમાં તોડફોડ કરી હતી. જ્યારે પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવા પહોંચી તો દેખાવકારોએ તેમના પર પણ હુમલો કર્યો. આ ઘટનામાં નારાયણપુર એસપીનું માથું ફાટી ગયું હતું. આ પહેલાં રવિવારે આદિવાસી સમુદાય અને બીજી બાજુના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. હિંસક ટોળાએ અંડકા પોલીસ સ્ટેશનના પીઆઈ પર હુમલો કર્યો.
વિસ્તારને છાવણીમાં ફેરવાયો, 5 હજાર જવાન તહેનાત
શાંતિનગર નારાયણપુર જિલ્લા મુખ્યાલયમાં આવેલું છે. આ વિસ્તારમાં મોટા ભાગના ખ્રિસ્તી સમુદાયના લોકો રહે છે. ગ્રામજનોનું ટોળું આ વિસ્તારમાં ઘૂસી ગયું હતું. નારાજ લોકોને શાંત કરવા આઈજી સુંદરરાજ સહિત 4 આઈપીએસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. કોંડાગાંવથી વધારાની પોલીસફોર્સ પણ બોલાવવામાં આવી હતી.
ખ્રિસ્તી ધર્મ અપનાવનારા આદિવાસીઓને ગામડાંમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ધર્મપરિવર્તનને લઈને વાતાવરણ તંગ છે. આ દરમિયાન હુમલા અને અથડામણ પણ થયાં છે. આ પહેલાં 18 ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી ધર્મ અપનાવનારા આદિવાસીઓને તેમના ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, ત્યાર બાદ તણાવ યથાવત્ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.