સ્પાઈસ જેટના બે પાઈલટને ફ્લાઈટ ઓપરેટ કરતી વખતે હોળીની ઉજવણી કરવા બદલ રોસ્ટર (ફ્લાઈંગ ડ્યૂટીમાંથી દૂર) કરવામાં આવ્યા છે. આ ઘટના ગત બુધવારે બની હતી. દિલ્હી-ગુવાહાટી ફ્લાઈટમાં નાસ્તો કરતા, બંને પાઈલટોએ ફ્લાઈટના ડેકના સેન્ટર કન્સોલ પર કોફીનો કપ મૂક્યો હતો. એક પાઇલોટના હાથમાં ખાવાની ચીજ પણ દેખાય છે. આ ઘટનાનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
વિમાનના કન્સોલ પર મૂકવામાં આવેલ ગ્લાસ થોડો પણ છલકાયો હોત તો તે એરક્રાફ્ટની સુરક્ષાને અસર કરી હોત. બંને કોફી સાથે નાસ્તો કરવાની મજા માણી રહ્યા હતા તે સમયે પ્લેન 37 હજાર ફૂટની ઊંચાઈએ ઊડી રહ્યું હતું. વિમાનની ઝડપ 0.79 મેક (975 કિમી પ્રતિ કલાક) હતી. ફોટો વાઇરલ થયા પછી, ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશન (DGCA) એ મંગળવારે એરલાઇનને આ પાઇલટ્સની ઓળખ કરવા અને તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો.
એરલાઈને પાઈલટ સામે કાર્યવાહી કરી
આ અંગેના નિર્દેશ પર, બુધવારે, એરલાઇન્સે બંને પાઇલટ્સને રોસ્ટરની બહાર કર્યા (ફ્લાઇંગ ડ્યૂટીમાંથી દૂર) છે. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તપાસ ન થાય ત્યાં સુધી બંને પાઈલટને ઓફ રોસ્ટર કરી દેવામાં આવ્યા છે. સ્પાઈસ જેટની કોકપીટની અંદર ફૂડ અંગે કડક પોલિસી હોય છે, જેનું તમામ ક્રૂ સભ્યોએ પાલન કરવું પડે છે. આ મામલે તપાસ બાદ બંને સામે ડિસિપ્લિનરી કાર્યવાહી કરવામાં આવશે.
કેટલાક સિનિયર પાઇલટોએ પણ આવી બેજવાબદારીભરી રીતે હોળીની ઉજવણી અંગે ચિંતા વ્યક્ત કરી છે.
સિનિયર પાઇલોટે કહ્યું- શોર્ટ સર્કિટ થઈ શકે
એક સિનિયર પાઇલોટે કહ્યું કે કોફીથી ભરેલો કપ પ્લેનના ફ્યુઅલ લિવર પર સેન્ટર કન્સોલની વચ્ચે મૂકવામાં આવ્યો હતો. તેની બરાબર નીચે એન્જિન (સહાયક પાવર યુનિટ) અને ફાયર કન્ટ્રોલ સ્વિચ હોય છે. જો કોફીનો ગ્લાસ ઢોળાય અને કોફી ફાયર પેનલ પર પડી હોત તો તેના કારણે શોર્ટ સર્કિટ થઈ શકે. તે આગનું કારણ પણ બની શકે છે અને મોટી જાનહાનિ પણ થઈ શકી હોત.
અન્ય એક સિનિયર પ્લેન કેપ્ટને કહ્યું, આ કંઈ રાખવાની જગ્યા નથી. પ્રવાહી ઢોળાવાને કારણે મોટી ઈમર્જન્સી આવી પડી હોત. તેનાથી શોર્ટ સર્કિટની સાથે કંટ્રોલ અને કોમ્યુનિકેશન બંધ થઈ શક્યો હોત. સેન્ટ્રલ પેડેસ્ટલ સ્વિચોથી ભરેલું હોય છે. સુરક્ષિત ઉડાન માટે આ જગ્યા અત્યંત મહત્ત્વની હોય છે.
વિમાન બાબતના અન્ય સમાચાર પણ વાંચો....
દિલ્હીથી ઊપડેલી ફ્લાઇટને કરાચી જવું પડ્યું:દોહા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં પેસેન્જરની તબિયત લથડતાં પાકિસ્તાન તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી
નવી દિલ્હીથી કતારની રાજધાની દોહા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-1736ને મેડિકલ ઈમર્જન્સીના કારણે પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઈન અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેસેન્જરને એરપોર્ટ મેડિકલ ટીમ પાસે લાવવામાં આવ્યો ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું.
એક પેસેન્જરની તબિયત બગડી હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત બગડતાં ફ્લાઈટને કરાચીમાં લેન્ડ કરવાની ફરજ પડી હતી. ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન એક પેસેન્જરની તબિયત બગડી હતી, જે બાદ પ્લેનના પાઇલટે કરાચી એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી અને ઈમર્જન્સી લેન્ડિંગની મંજૂરી માંગી હતી. જેના પર કરાચી એર ટ્રાફિક કંટ્રોલે ફ્લાઈટને લેન્ડ કરવાની મંજૂરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.