વિજ્ઞાન હોય કે જ્યોતિષ સૂર્ય સહિત નવ ગ્રહોની જીવન પર પડનાર વ્યાપક અસરને બંને સ્વીકારે છે. નવ ગ્રહોને એકસાથે જોવું અને તે પણ તેમની પત્ની સાથે, તો ગ્રહોમાં વિશ્વાસ રાખનારાઓ માટે આ એક સારા સમાચાર કહેવાશે. ગ્વાલિયર જિલ્લાના ડબરા તાલુકામાં મધ્યપ્રદેશનું સૌથી મોટું નવગ્રહ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. કામગીરી 90 ટકા પૂર્ણ થઈ ગઈ છે. આ મંદિર વિજ્ઞાન અને જ્યોતિષ બંનેની માન્યતાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે.
તમને જણાવીએ કે આ 12 એકરના આ મંદિરમાં શું ખાસ છે
ડબરા શહેરની પશ્ચિમ તરફ જ્યાં પહેલાં સુગર મિલ હતી, ત્યાં હવે 12 એકરમાં નવગ્રહ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. અગાઉ ડબરાની ઓળખ ખાંડ માટે થતી હતી. જો કે આ મિલ હવે બંધ છે. ડબરાની નવી ઓળખ હવે અહીં બાંધવામાં આવનાર નવગ્રહ મંદિરથી થવાની ધારણા છે. મંદિર ટ્રસ્ટનો દાવો છે કે તે મધ્યપ્રદેશનું સૌથી ભવ્ય નવગ્રહ મંદિર બનવા જઈ રહ્યું છે. જ્યાં તમામ નવ ગ્રહો તેમની પત્નીઓ સાથે બિરાજશે.
મંદિરના નિર્માણમાં દ્રવિડ, ફારસી અને મિશ્ર શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સમગ્ર મંદિરનું નિર્માણ ગોળાકાર સ્વરૂપમાં કરવામાં આવ્યું છે. અહીં વાસ્તુ અને વિજ્ઞાન બંનેનું ધ્યાન રાખવામાં આવ્યું છે, કારણ કે વાસ્તુમાં ગોળાકાર વસ્તુઓ પર કોઈ અશુભ અસર થતી નથી, તો વિજ્ઞાન અનુસાર ગ્રહો ગોળાકાર કક્ષમાં જ ફરે છે.
મંદિરની નજીક એક વિશાળ તળાવ બનાવવામાં આવ્યું છે, જેમાં વહેતું પાણી મંદિરની પરિક્રમા કરતી વખતે તળાવમાં પાછું પહોંચશે અને પરિક્રમા કરવાની પ્રક્રિયા સતત ચાલુ રહેશે. તેની પાછળનો તર્ક પણ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લેવામાં આવ્યો છે કારણ કે જ્યારે સૂર્ય ભગવાન પૃથ્વી પર બિરાજમાન હોય છે ત્યારે તેમના તેજને નિયંત્રિત કરવા અથવા ઊર્જાને નિયંત્રિત કરવા માટે પાણીની જરૂર પડે છે. તેનું કામ આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં પૂર્ણ થવાની સંભાવના છે. હાલમાં 90% કામ પૂર્ણ થઈ ગયું છે. મંદિરના નિર્માણથી ડબરા વિસ્તારમાં પ્રવાસનને મોટો વેગ મળશે.
મંદિરનું નિર્માણ ભગવાન પરશુરામ લોકન્યાસ દ્વારા વર્ષ 2012માં શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ 12 એકર જમીનમાં મંદિર અને તેના પરિસર સહિતનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. આર્કિટેક્ટ અને એન્જિનિયર અનિલ શર્માએ જણાવ્યું કે હવે મંદિરમાં સ્થાપિત થનારી મૂર્તિઓની સાથે તળાવ અને અન્ય બ્યુટિફિકેશનનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ મંદિર તેની વિશેષતાઓને કારણે મધ્યપ્રદેશનું સૌથી મોટું નવગ્રહ મંદિર હશે.
દ્રવિડ, ફારસી અને મિશ્રિત શૈલીમાં બને છે મંદિર
40 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલા મંદિર અને એક લાખ સ્ક્વેર ફૂટમાં પ્લેટફોર્મ એરિયા બનાવવા માટે દ્રવિડ, ફારસી અને મિશ્ર શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનું બહારનું સ્વરૂપ મિશ્ર શૈલીમાં છે જ્યારે સૂર્યમંદિર દ્રવિડ શૈલીમાં છે. આખું સ્વરૂપ રથના આકારમાં છે. જેમાં ચાર પૈડાં અને 7 ઘોડા, વરુણ દેવને સારથિ તરીકે દર્શાવવામાં આવ્યા છે જેઓ તમામ ઘોડાઓની લગામ પોતાના હાથમાં ધરાવે છે.
ગ્રહ અને તેમની પત્નીઓનાં નામ
(1) સૂર્ય-સંધ્યા, છાયા દેવી
(2) ચંદ્ર-રોહિણીદેવી
(3 મંગળ-શકિતદેવી
(4) બુધ-ઈલાદેવી
(5) ગુરુ-તારાદેવી
(6) શુક્ર-સુકીર્તિ-ઉજસ્વતીદેવી
(7) શનિ-નીલાદેવી
(8) રાહુ-સીમ્હીદેવી
(9) કેતુ-ચિત્રલેખા દેવી
નવગ્રહ મંદિરમાં આ ખાસ હશે
મંદિરની ઇમારત ત્રણ માળની છે.
મૂર્તિઓ એવી રીતે મુકાશે કે એક ગ્રહની દૃષ્ટિ બીજા પર ન પડે
મંદિરમાં અષ્ટધાતુ અને આરસની આદમ સાઇઝની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી રહી છે. તમામ ગ્રહોની મૂર્તિઓ જ્યોતિષ શાસ્ત્ર મુજબ બનાવીને સ્થાપિત કરવામાં આવશે. જેમાં તેમના હાથની મુદ્રા અને કપડાંની ઊંચાઈનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને એક ગ્રહની દૃષ્ટિ બીજા ગ્રહ પર ન પડે તે માટે તમામ મૂર્તિઓની ઊંચાઈ સૂર્યદેવની મૂર્તિની ઊંચાઈ પ્રમાણે સ્થાપિત કરવામાં આવી છે.
નવગ્રહ પીઠ ડબરામાં ગ્રહોની દિશા મુજબની સ્થિતિ
સૂર્ય - મધ્યમાં શુક્ર - પૂર્વ ચંદ્ર - દક્ષિણ પૂર્વ મંગળ - દક્ષિણ રાહુ - દક્ષિણ પશ્ચિમ શનિ - પશ્ચિમ કેતુ - ઉત્તર પશ્ચિમ ગુરુ - ઉત્તર બુધ - ઉત્તર પૂર્વ
તમામ ગ્રહોની શાંતિ માટે એક જ સ્થાને પૂજાપાઠ
પરશુરામ લોકન્યાસ દ્વારા બનાવવામાં આવેલા આ મંદિરના સંરક્ષક અને સામાજિક કાર્યકર શ્રીમાન નારાયણ મિશ્ર કહે છે કે આ મંદિરનું નિર્માણ જ્યોતિષ, વાસ્તુ કે વિજ્ઞાન દરેક બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશમાં આ પહેલું મંદિર હશે જેમાં બધા ગ્રહોની શાંતિ માટે લોકો એકસાથે પૂજા કરશે. આ મંદિર બનાવવાનો વિચાર એટલા માટે આવ્યો કારણ કે લોકો સામાન્ય રીતે ગ્રહોની શાંતિ માટે અલગ-અલગ સ્થળોએ જાય છે. અત્યાર સુધી દરેક ગ્રહ માટે દરેક જગ્યાએ અલગ-અલગ મંદિરો છે અને લોકોને અલગ-અલગ જગ્યાએ જવું પડે છે. આ મંદિરના નિર્માણથી વ્યક્તિ પોતાના ગ્રહની શાંતિ માટે એક જ જગ્યાએ આવીને પૂજા કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.