ભાસ્કર ન્યૂઝ | નવી દિલ્હી સુપ્રીમકોર્ટેની પાંચ જજની બંધારણીય બેન્ચે ગુરુવારે શિવસેના વિરુદ્ધ શિવસેનાના જ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથે નવ દિવસ સુધી પોતપોતાની દલીલો રજૂ કરી હતી. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથમાંથી અસલ શિવસેના કોની છે તે મામલે સુપ્રીમકોર્ટ નિર્ણય કરનાર છે. ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે સુપ્રીમકોર્ટે દરમિયાનગીરી કરવી જોઇએ નહીં. કોર્ટની દરમિયાનગીરીથી લોકશાહી ખતરામાં આવી શકે છે. તેમણે કહ્યું હતું કે રાજ્યપાલ પાર્ટી અને ગઠબંધન વચ્ચેના મુદ્દાને જોઇ શકે છે. જોકે રાજ્યપાલ કોઇ પાર્ટીના જૂથને બહુમતી માટે બોલાવી શકે નહીં. આ સંબંધમાં કોર્ટે કહ્યું હતું કે આ તર્ક કેટલીક વખત ખતરનાક બની જાય છે. પાર્ટીમાં સામાન્ય રીતે એક નેતા સિવાય અન્યની પાસે સ્વતંત્રતા હોતી નથી. કેટલીક વખત પાર્ટીને એક જ પરિવાર ચલાવે છે. આ દરમિયાન જસ્ટિસ એમ.આર. શાહે કહ્યું હતું કે જે સરકારે વિશ્વાસ મતનો સામનો કર્યો નથી તે સરકારને ફરી સ્થાપિત કેવી રીતે કરી શકે છે ?
રાજ્યપાલ કોઇ જૂથને બંધારણીય આધારે માન્યતા આપી શકે નહીં : કપિલ સિબ્બલ વિ. આ તર્ક ખતરનાક છે, કેટલીક વખત એક જ પરિવાર પાર્ટી ચલાવે છે : જસ્ટિસ નરસિમ્હા
ઉદ્ધવ જૂથના વકીલ કપિલ સિબ્બલ: રાજ્યપાલ માત્ર પાર્ટીઓ અને ગઠબંધનોની વચ્ચેના મુદ્દાને જોઇ શકે છે. તેઓ ક્યાં બંધારણીય આધાર પર કોઇ જૂથને બહુમતી સાબિત કરવા માટે બોલાવી શકે છે ?
સીજેઆઇ : તમારું કહેવું છે કે પાર્ટીમાં વિભાજન તો થયું છે, પરંતુ તેને માન્યતા ન હતી. ધારાસભ્યોનું એક જૂથ કહે છે કે તે સમર્થન લઇ ચૂક્યું છે. એવા સમય પર રાજ્યપાલ સંખ્યાના આધારે એમ કહી શકે નહીં કે આ વલણ ગૃહની તાકાતને પણ પ્રભાવિત કરે છે ?
સિબ્બલ: જ્યારે 10મું શિડ્યુલ નહોતું ત્યારે આવું થતું હતું.
ચીફ જસ્ટિસઃ શું તમે એમ કહો છો કે રાજ્યપાલ 10મી અનુસૂચિની જોગવાઈઓને અવગણીને વિશ્વાસ મતની માંગ ના કરી શકે ?
સિબ્બલ: માય લોર્ડ, તમે અત્યારે 10મું શેડ્યૂલ ભૂલી જાવ. મારો મુદ્દો એ છે કે તેઓ કોઈ પણ જૂથના આધારે વિશ્વાસનો મત માંગી ના શકે.
જસ્ટિસ નરસિમ્હાઃ આ દલીલ ક્યારેક ખતરનાક બની શકે છે કારણ કે ઘણીવાર પક્ષમાં નેતા સિવાય કોઈ સ્વતંત્ર હોતા નથી. ક્યારેક એક જ પરિવાર પાર્ટી ચલાવે છે.
સિબ્બલ: મારી દલીલ નથી, મારી ફરિયાદ છે. અહીં પક્ષપલટા જેવી કોઈ વાત નથી. સમસ્યા એ છે કે આપણે પાછા આયારામ ગયારામ યુગમાં પાછા જઈ રહ્યા છીએ.
સીજેઆઇ: તમારા કહેવા પ્રમાણે, ગઠબંધનનો કોઈ પક્ષ અન્ય પક્ષમાં ગયો હોય ત્યારે જ રાજ્યપાલ ફ્લોર ટેસ્ટ બોલાવી શકે છે.?
સિબ્બલ : ચોક્કસ, રાજ્યપાલ પાર્ટીની અંદરના વિવાદોને જોઇ શકે નહીં.
સીજેઆઇ : હવે માની લો કે, સરકારની પાસે એક્સ ધારાસભ્ય છે. તે પૈકી અડધા કહી રહ્યા છે કે સરકાર પર વિશ્વાસ નથી. હવે તમારા તર્કથી તો ...અનુસંધાન પાના નં. 14
રાજ્યપાલ ક્યારેય પણ વિશ્વાસમત માટે બોલાવી શકે નહીં.
સિબ્બલ : રાજ્યપાલ એમ માની શકે નહીં કે સરકારે વિશ્વાસમત ગુમાવી દીધો છે. તેઓ સ્પીકરની કામગીરી પર દબાણ કરી શકે નહીં.
સીજેઆઇ : તમે ઇચ્છી રહ્યા છો કે હવે કોર્ટ સરકારને પુન: સ્થાપિત કરી દે ? પરંતુ તમે રાજીનામું આપી ચૂક્યા છો.
અભિષેક મનુ સિંઘવી ( ઉદ્ધવ જૂથના વકીલ) : ઉદ્ધવ સરકારનું રાજીનામું પ્રાસંગિક નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.