ગોળની તપાસ માટે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ પહેલીવાર દેશના દરેક રાજ્યના 249 જિલ્લામાંથી 3,060 નમૂના ભેગા કર્યા છે. પરિણામ ચોંકાવનારાં છે. ઘણાં રાજ્યોમાં વેચાતા ગોળમાં કેમિકલ જોવા મળ્યું છે. ઘણાં શહેર તો એવાં છે, જેમના નમૂના ફેલ સાબિત થયા છે. કુલ દેશનાં બજારોમાં 36% ગોળ ગુણવત્તા કરતાં ખરાબ નોંધાયો છે. ગુજરાતનો ગોળ પણ ગુણવત્તામાં 46.9% ખરાબ નોંધવામાં આવ્યો છે, જ્યારે સર્વે પ્રમાણે ગુજરાતના રાજકોટ શહેરના ગોળમાં તો 10% પણ શુદ્ધતા જોવા મળી નથી.
પેકિંગની સરખામણીએ ખુલ્લો વેચાતો ગોળ વધારે ખરાબ
FSSAIની તપાસમાં એવું પણ જોવા મળ્યું છે કે પેકિંગવાળા ગોળની સરખામણીએ ખુલ્લો વેચાતો ગોળ વધારે ખરાબ હોય છે. તેથી FSSAIએ પેકિંગવાળો ગોળ જ ખરીદવાની સલાહ આપી છે.
કર્મચારીઓને જાગ્રત કરવાની સલાહ
તપાસને આધાર બનાવીને FSSAIએ FACI કૃષિ મંત્રાલય, ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રાલય અને સુક્ષ્મ-લઘુ ઉદ્યોગોને રેગ્યુલેટ કરનારી ઓથોરિટીને પત્ર લખ્યો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે ગોળ સાથે જોડાયેલા વેપારીઓને જાગ્રત કરવાની જરૂર છે. તેમને યોગ્ય ટ્રેનિંગ આપવાની જરૂર છે.
આ સિવાય ઈન્ડિયન કાઉન્સિલિંગ ફોર એગ્રિકલ્ચર રિસર્ચ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ શુગરકેન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IISRI) અને નેશનલ શુગર ઈન્સ્ટિટ્યૂટ એન્ડ સ્ટેટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટને પણ શુદ્ધ ગોળ વિશે જાગ્રતતા ફેલાવવાનું કહેવામાં આવ્યું છે.
ગોળનું રિપોર્ટ કાર્ડ
ટોપ-10 રાજ્ય, જ્યાં ગોળ સૌથી સારો- ત્રિપુરા-100%, ઉત્તરાખંડ 95%, મેઘાલય 90.6%, અંદામાન-નિકોબાર 90%, આંધ્રપ્રદેશ 87.5%, જમ્મુ-કાશ્મીર 87.5%, તેલંગાણા 87%, સિક્કિમ 85%, આસામ 83.3% અને કર્ણાટક 80.6%.
આ રાજ્યોમાં સૌથી ખરાબ ગોળ: બિહાર- 15.6%, પંજાબ- 18.5%, અરુણાચલ પ્રદેશ 20%, ગોવા 25%, ઉત્તરપ્રદેશ 38.5%, મણિપુર 40%, ઓડિશા 44.4%, ગુજરાત 46.9% અને હિમાચલ પ્રદેશ 50%.
આ શહેરોનો ગોળ 100% શુદ્ધ: ભોપાલ, રાંચી, દિલ્હી, ઈન્દોર, જયપુર, પુણે, સિલીગુડી અને વારાણસીમાં 100% શુદ્ધ ગોળ જોવા મળ્યો છે. જ્યારે ગુજરાતના રાજકોટ, UPના મેરઠ અને પંજાબના લુધિયાણામાં લેવામાં આવેલા ગોળના નમૂનામાં 10% શુદ્ધતા પણ જોવા મળી નથી.
દક્ષિણમાં ખૂબ ઓછો નિયમભંગ થાય છે: ગોળ તૈયાર કરતી વખતે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડનું ધ્યાન સૌથી વધારે દક્ષિણ ભારતમાં રાખવામાં આવે છે. ત્યાંના 78.3% ગોળના માપદંડો યોગ્ય નોંધવામાં આવ્યા છે, જ્યારે પૂર્વોત્તરમાં 59.4% અને પશ્ચિમમાં 53.3% અને ઉત્તર ભારતમાં સૌથી ઓછા 47.2% કેસમાં જ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના નિયમો પાળવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.