અદાણી ગ્રુપની તપાસની માગણીને લઈને સોમવારે સંસદથી લઈને સડક સુધી હંગામો થવાની શક્યતા છે. કોંગ્રેસ દેશભરમાં વિરોધપ્રદર્શન કરી રહી છે. સંસદમાં આજે હંગામો થવાની સંભાવના છે. વિપક્ષનું કહેવું છે કે અદાણી સિવાયનો કોઈ મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવશે નહીં. આજે સોમવારે સવારે શેરબજારમાં અદાણી એન્ટરપ્રાઈસીસના શેરના ભાવ 5% સુધી તૂટ્યા હતા. એ 1500 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
બીજી તરફ, બ્રિટિશ લેન્ડર સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે માર્જિન લોન પર કોલેટરલ તરીકે અદાણી ગ્રુપના બોન્ડ લેવાનું બંધ કરી દીધું છે. અગાઉ સિટી ગ્રુપ અને ક્રેડિટ સુઈસ બેંક પણ આ કામ કરી ચૂકી છે.
બજાર ખૂલતાં જ અદાણી અન્ટરપ્રાઈસીસના શેર 5% ઘટ્યો
અમેરિકન શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચનો અહેવાલ પ્રકાશિત થયા બાદ અદાણી ગ્રુપના શેરમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અહેવાલ આવ્યા બાદ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈસીસનો શેર 12 દિવસમાં લગભગ 60% જેટલો ઘટ્યો છે. આ પહેલાં શુક્રવારે કંપનીના શેરમાં 35%નો ઘટાડો થયો હતો. જોકે આ પછી શેરમાં રિકવરી આવી અને એ માત્ર 2.19%ના ઘટાડા સાથે રૂ. 1,531 પર બંધ થયો. શેરમાં નીચલા સ્તરેથી 50%ની રિકવરી જોવા મળી છે.
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત
લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ અદાણી મામલે ચર્ચાની માગ કરીને નારેબાજી શરૂ કરી દીધી. બંને સદનોના સ્પીકર્સે સાંસદોને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેઓ માન્યા નહીં. તે પછી બંને સદનોની કાર્યવાહી કાલ સુધી સ્થગિત કરવામાં આવી છે.
કોંગ્રેસ સહિત 15 વિપક્ષી પાર્ટીઓએ સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમા સામે પ્રદર્શન કર્યું. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર સામાન્ય લોકોના રૂપિયાનો ઉપયોગ પોતાના મિત્રની મદદ માટે કરી રહી છે. વિપક્ષની માગ છે કે સરકાર આ મુદ્દે સંસદમાં ચર્ચા થવા દે.
LIC અને SBIની ઓફિસ સામે કોંગ્રેસનું આજે દેશભરમાં પ્રદર્શન
એલઆઈસી અને એસબીઆઈની ઓફિસો સામે કોંગ્રેસનું પ્રદર્શન થઈ રહ્યું છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર પોતાના મિત્રોની મદદ માટે સામાન્ય લોકોના પૈસાનો ઉપયોગ કરી રહી છે. વિપક્ષની માગ છે કે સરકાર આ મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવા દે. આ સાથે અદાણી જૂથના નાણાકીય વ્યવહારોની સંસદીય પેનલ (JPC) અથવા સુપ્રીમ કોર્ટની સમિતિ દ્વારા તપાસ થવી જોઈએ.
આજના અપડેટ્સ...
અદાણી ગ્રુપ અમીરોના લિસ્ટમાં 21મા સ્થાને પહોંચ્યું
શેરમાં ભારે ઘટાડા બાદ ગૌતમ અદાણીની નેટવર્થ 90 અબજ ડોલર થઈ ગઈ છે. ગયા વર્ષે એ 150 અબજ ડોલરની નજીક હતી. ફોર્બ્સની સોમવારે જાહેર થયેલી અમીરોના રિયલ ટાઇમ લિસ્ટમાં અદાણી 21મા સ્થાન પર પહોંચી ગયા છે. શુક્રવારે એ 22મા સ્થાને હતા. 27 ફેબ્રુઆરી પહેલાં અદાણી વિશ્વની ત્રીજી સૌથી ધનિક વ્યક્તિ અને એશિયામાં નંબર વન હતા.
અદાણી મામલે કોંગ્રેસે PMને સવાલ પૂછ્યા
કોંગ્રેસનેતા જયરામ રમેશે રવિવારે કહ્યું- અદાણી ગ્રુપ પર લાગેલા ગંભીર આરોપો વચ્ચે મોદી સરકાર ચૂપ છે. આ મિલીભગતનો સ્પષ્ટ સંકેત છે. વડાપ્રધાન એમ કહીને છટકી શકતા નથી કે અમે અદાણીના કોણ છીએ. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ આ મુદ્દે આજથી દરરોજ PMને ત્રણ સવાલ પૂછશે. રવિવારના ત્રણ સવાલ નીચે વાંચો...
પહેલો સવાલઃ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી પર પનામા પેપર્સ અને પેન્ડોરા પેપર્સમાં ફ્રોડના આરોપ લાગ્યા છે, આ અંગે કોઈ કાર્યવાહી થઈ?
બીજો સવાલઃ હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ ગૌતમ અદાણી પર ED, CBI અને ઈન્કમટેક્સ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે?
ત્રીજો સવાલઃ માત્ર અદાણી ગ્રુપને જ એરપોર્ટમાં એકાધિકાર સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે, આ કઈ રીતે શક્ય છે?
12 દિવસમાં અત્યાર સુધી શું થયું, મોટી બાબતો...
24 જાન્યુઆરીઃ હિંડનબર્ગે એક રિપોર્ટ જાહેર કરીને અદાણી ગ્રુપ પર દગાબાજી અને મની લોન્ડરિંગ જેવા મોટા આરોપ લગાવી દીધા છે.
27 જાન્યુઆરીઃ અદાણી એન્ટરપ્રાઇસીસ 20,000 કરોડનો FPO લાવી. પહેલા દિવસે માત્ર 1% સબ્સ્ક્રિપ્શન મળ્યું. આ ઓફરના પ્રાઇઝ બેન્ડ 3112થી 3276 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી હતી.
29 જાન્યુઆરીઃ અદાણી ગ્રુપે હિંડનબર્ગના રિપોર્ટને ભારત પર ષડ્યંત્ર હેઠળ હુમલો જણાવ્યો. ગ્રુપે 413 પાનાંના જવાબમાં લખ્યું કે બધા જ આરોપો ખોટા છે.
30 જાન્યુઆરીઃ હિંડનબર્ગ રિસર્ચે કહ્યું- અદાણીથી 88 સવાલ પૂછવામાં આવ્યા. એમાંથી તેઓ 62નો જવાબ આપવામાં અસફળ રહ્યા. ફ્રોડને રાષ્ટ્રવાદના નામે છુપાવવામાં આવી શકે નહીં. હિંડનબર્ગે અદાણી ગ્રુપના જવાબને બ્લોટેડ રિસ્પોન્સ કરાર આપ્યો.
1 ફેબ્રુઆરીઃ અદાણી ગ્રુપે 20 હજાર કરોડ રૂપિયાના ફુલી સબ્સ્ક્રાઇબ્ડ FPOને રદ કરીને ઇન્વેસ્ટર્સને રૂપિયા પાછા આપવાની વાત કહી છે.
2 ફેબ્રુઆરીઃ ગૌતમ અદાણીએ FPO રદ કર્યા પછી એક વીડિયો મેસેજ આપ્યો, જેમાં તેમણે કહ્યું- મારા માટે રોકાણકારોનું હિત મુખ્ય છે. એ જ દિવસે વિપક્ષે સંસદમાં હોબાળો મચાવ્યો હતો, RBIએ દેશની તમામ બેંકો પાસેથી અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન અને રોકાણની વિગતો માગી છે. NSEએ અદાણી ગ્રુપના ત્રણ શેરને ટૂંકા ગાળા માટે એડિશનલ સર્વેલન્સ મેજર્સ (ASM)ની યાદીમાં ઉમેર્યા હતા.
3 ફેબ્રુઆરીઃ એડવોકેટ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ કરી રોકાણકારોનું શોષણ કરીને તેમને ઠગવા માટે હિંડનબર્ગ રિસર્ચના ફાઉન્ડર નાથન એન્ડરસન અને તેમના સાથીઓ વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.