ઉત્તરાખંડના જોશીમઠમાં સ્થિતિ ગંભીર છે. સોમવારે સાંજે ઈમારતોને થયેલા નુકસાનની સમીક્ષા કરવા કેન્દ્રની એક ટીમ જોશીમઠ પહોંચી છે. આ ટીમ આજે જ રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે.
બીજી તરફ રાજ્ય સરકારે જોશીમઠ શહેરના ત્રણ ભાગ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઝોન હશે - ડેન્જર, બફર અને સેફ ઝોન. શહેરના ઘરોને ઝોનના આધારે માર્ક કરવામાં આવશે.
ડેન્જર ઝોનમાં એવા મકાનો હશે જે ખૂબ જ જર્જરિત અને રહેવા માટે યોગ્ય નથી. આવા મકાનોને મેન્યુઅલી તોડી પાડવામાં આવશે, જ્યારે સેફ ઝોનમાં હળવી તિરાડો હશે અને તે તૂટી પડવાની સંભાવના ઓછી હશે. તો બફર ઝોનમાં એવા મકાનો હશે, જેમાં હળવી તિરાડો છે, પરંતુ તિરાડો વધવાનો ભય છે. તમને જણાવી દઈએ કે એક્સપર્ટ્સની ટીમે તિરાડોવાળા મકાનોને તોડી પાડવાની ભલામણ કરી છે.
ઉત્તરાખંડના CM અને NDMAની બેઠકની 4 મોટી વાતો
જોશીમઠના મકાનો પર રેડ ક્રોસ
જોશીમઠના સિંધી ગાંધીનગર અને મનોહર બાગ વિસ્તારો ડેંજર ઝોનમાં છે. અહીંના ઘરો પર રેડ ક્રોસ લગાવવામાં આવ્યા છે. વહીવટીતંત્રે આ મકાનોને રહેવા માટે અયોગ્ય જાહેર કર્યા છે. ચમોલીના DM હિમાંશુ ખુરાનાએ કહ્યું કે જોશીમઠ અને આસપાસના વિસ્તારોમાં બાંધકામ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
અહીં 603 મકાનોમાં તિરાડો પડી ગઈ છે. મોટાભાગના લોકો ભયના કારણે ઘરની બહાર જ રહે છે. ભાડૂઆતો પણ ભૂસ્ખલનના ભયથી ઘર છોડીને જતાં રહ્યાં છે. અત્યાર સુધીમાં 70 પરિવારોને બહાર કાઢવામાં આવ્યા છે. બાકીના પરિવારો હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે જ વહીવટીતંત્રે લોકોને રાહત શિબિરમાં જવાની અપીલ કરી છે.
મોટાં અપડેટ્સ...
જોશીમઠની સ્થિતિ જણાવે છે 4 તસવીરો...
જોશીમઠની પરિસ્થિતિ અંગે સરકાર અને નિષ્ણાતો... 4 મુદ્દા
1. PM મોદીએ CMને પૂછ્યું - કેટલા લોકો અસરગ્રસ્ત છે
વડાપ્રધાન મોદીએ રવિવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને ફોન કરીને આ અંગે પૂછપરછ કરી હતી. ધામીએ જણાવ્યું હતું કે પીએમએ અનેક સવાલો પૂછ્યા, જેમ કે કેટલા લોકો અસરગ્રસ્ત થયા છે, કેટલું નુકસાન થયું છે, લોકોના વિસ્થાપન માટે શું કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાને જોશીમઠને બચાવવા માટે શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
2. નિષ્ણાતે કહ્યું- ભૂસ્ખલનનું મોટું જોખમ
પીએમઓ સાથેની બેઠક દરમિયાન નિષ્ણાતે જોશીમઠમાં મોટાં જોખમની આશંકા વ્યક્ત કરી હતી. નિષ્ણાતો કહે છે કે શહેરની નીચે બ્લાસ્ટિંગ અને ટનલ બનાવવાને કારણે પહાડો ધસી રહ્યા છે. જો એને તાત્કાલિક રોકવામાં નહીં આવે તો શહેર કાટમાળમાં ફેરવાઈ શકે છે. સુખવીર સિંહ સંધુએ કહ્યું કે અમારો પ્રયાસ છે કે કોઈપણ જાતની નુકસાની ન થાય એ માટે લોકોને અન્ય જગ્યાએ ખસેડવા જોઈએ. તેમણે કહ્યું હતું કે વૈજ્ઞાનિકો એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભૂસ્ખલનને કેવી રીતે રોકી શકાય. જલદી ઉકેલ શોધવામાં આવશે. આ માટે જરૂરી પગલાં શરૂ કરી દેવામાં આવ્યાં છે, જોકે હાલની સ્થિતિને જોતાં લોકોને જોખમી ક્ષેત્રમાંથી બહાર કાઢવા વધુ જરૂરી છે.
3. મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, શંકરાચાર્યે PIL દાખલ કરી
જ્યોતિષપીઠના શંકરાચાર્ય જગદગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરી છે. તેમણે કહ્યું- છેલ્લા એક વર્ષથી જમીન ધસવાના સંકેતો મળી રહ્યા હતા. સરકારે આ તરફ ધ્યાન આપ્યું નથી. ઐતિહાસિક, પૌરાણિક અને સાંસ્કૃતિક શહેર જોશીમઠ જોખમમાં છે.
4. NTPCનું નિવેદન - અમારી ટનલ જોશીમઠમાંથી બિલકુલ પસાર થતી નથી
NTPCએ એક નિવેદનમાં કહ્યું- “NTPC દ્વારા બનાવવામાં આવેલી ટનલ જોશીમઠ નગરની નીચેથી પસાર થતી નથી. આ ટનલ એક ટનલ બોરિંગ મશીન (TBM) દ્વારા ખોદવામાં આવી હતી અને હાલમાં કોઈ બ્લાસ્ટિંગ કરવામાં આવ્યા નથી."
5. છત પડી જાય ત્યારે આવજો... SDMએ કહ્યું- આવું કશું કહ્યું નથી
જોશીમઠના મનોહર વોર્ડના લોકોએ SDM કુમકુમ જોશીના નિવેદન મામલે હોબાળો થયો હતો. લોકો કુમકુમ પર ગુસ્સે થયા હતા. લોકોએ એસડીએમને તેમના નિવેદનમાં યાદ અપાવ્યું કે તેણે કહ્યું હતું કે જ્યારે છત પડી જાય ત્યારે આવજો અને 5 હજાર રૂપિયા મળી જશે. જોકે એસડીએમએ આવા કોઈપણ નિવેદનને નકારી કાઢ્યું છે. તેણે કહ્યું- એવું કશું પણ મેં કહ્યું જ નથી.
CM ધામી જોશીમઠ પહોંચ્યા, લોકો રડી પડ્યા
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી રવિવારે જોશીમઠ પહોંચ્યા હતા અને લોકોનું દુઃખ જાણ્યું હતું. તેમની સામે લોકો રડવા લાગ્યા હતા. મહિલાઓએ તેમને ઘેરી લીધા હતા. તેમણે કહ્યું- અમારી નજર સામે જ અમારી દુનિયા બરબાદ થઈ રહી છે, એને બચાવો. અમને અમારા ઘરમાં રહેતાં પણ ડર લાગી રહ્યો છે.
13 વર્ષ પહેલાં તિરાડો પડવાની શરૂઆત, જોણો આટલું સેન્સેટિવ કેમ...7 પોઈન્ટ...
1. જોશીમઠ ગ્લેશિયરના થીજી ગયેલા ખડકો પર વસેલું- રિપોર્ટ
જોશીમઠનાં મકાનોમાં તિરાડો 13 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. હિમાલયના ઇકો-સેન્સિટિવ ઝોનમાં સ્થિત જોશીમઠ, બદ્રીનાથ, હેમકુંડ અને ફૂલોની ખીણ સુધી જવાનો એન્ટ્રી પોઈન્ટ માનવામાં આવે છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જિયોલોજીએ તેના સંશોધનમાં કહ્યું હતું કે ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં આવતાં મોટા ભાગનાં ગામો ગ્લેશિયર પર વસે છે, જ્યાં આજે વસાહતો છે, ત્યાં એક સમયે હિમનદીઓ હતી. આ હિમનદીઓની ટોચ પર લાખો ટન ખડકો અને માટી જમા થાય છે. લાખો વર્ષો પછી ગ્લેશિયરનો બરફ પીગળે છે અને માટી પર્વત બની જાય છે.
2. એમસી મિશ્રા સમિતિએ કહ્યું હતું - જોશીમઠની નીચે માટી અને પથ્થરના ઢગલા
1976માં ગઢવાલના તત્કાલીન કમિશનર એમસી મિશ્રાની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ કહ્યું હતું કે જોશીમઠનો વિસ્તાર પ્રાચીન ભૂસ્ખલન વિસ્તારમાં આવે છે. આ શહેર પર્વત પરથી નીચે આવેલા પથ્થર અને માટીના ઢગલા પર બાંધવામાં આવ્યું છે, જે ખૂબ જ અસ્થિર છે.
કમિટીએ આ વિસ્તારમાં ઢોળાવ પર ખોદકામ કે બ્લાસ્ટિંગ કરીને કોઈ મોટા પથ્થરો ન કાઢવાની ભલામણ કરી હતી. જોશીમઠના પાંચ કિલોમીટરની અંદર કોઈપણ બાંધકામનો કાટમાળ ફેંકવો ન જોઈએ એવું પણ કહેવામાં આવ્યું હતું.
3. હિમાલયમાં પેરા-ગ્લેશિયલ ઝોનની વિન્ટર સ્નો લાઇન પર વસાહત
જોશીમઠ હિમાલયના પ્રદેશમાં જે ઊંચાઈએ આવેલું છે ેને પેરા ગ્લેશિયલ ઝોન કહેવામાં આવે છે. મતલબ કે આ સ્થળોએ એક સમયે હિમનદીઓ હતી, પરંતુ બાદમાં ગ્લેશિયર્સ પીગળી ગયા અને એનો કાટમાળ રહી ગયો. એમાંથી બનેલા પર્વતને મોરેન કહે છે. વૈજ્ઞાનિક ભાષામાં આવી જગ્યાને અસંતુલિત (disequilibrium) જગ્યા કહેવામાં આવે છે. એનો અર્થ છે - એક એવી જગ્યા, જ્યાં જમીન સ્થિર નથી અને જેનું સંતુલન સ્થાપિત થયું નથી.
એક કારણ એ પણ છે કે જોશીમઠ શિયાળાની બરફરેખાની ઊંચાઈથી ઉપર છે. શિયાળાની બરફરેખા એ શિયાળામાં બરફ રહે છે એ હદ છે. આવી સ્થિતિમાં પણ જ્યારે બરફની ટોચ પર કાટમાળ જમા થતો રહે છે ત્યારે ત્યાં મોરેન રચાય છે.
4. શહેરની વસતિવધારાને કારણે જંગલનું આવરણ બે હજાર ફૂટ ઘટ્યું
મિશ્રા કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે વિકાસને કારણે જોશીમઠ વિસ્તારમાં રહેલાં જંગલોનો નાશ થયો છે. ખડકાળ પર્વત ઢોળાવ ખાલી અને વગર વૃક્ષોનો છે. જોશીમઠ લગભગ 6,000 ફૂટની ઊંચાઈએ આવેલું છે, પરંતુ વસાહતમાં વધારો થવાને કારણે જંગલનું આવરણ 8,000 ફૂટ સુધી સરકી ગયું છે. વૃક્ષોની ઊણપને કારણે ધોવાણ અને લેન્ડ સ્લાઇડિંગમાં વધારો થયો છે. આ દરમિયાન મોટા પથ્થરોને સરકતાં અટકાવવા માટે કોઈ જંગલ બાકી નથી.
5. બ્લાસ્ટ અને બાંધકામને કારણે મોરેઇનની સ્લાઇડિંગમાં વધારો
વાડિયા ઇન્સ્ટિટ્યૂટે તેના અહેવાલમાં જાણવા મળ્યું હતું કે મોરૈન પર્વતનું સરકવું ચોક્કસ સમય પછી નિશ્ચિત છે. જોકે અંધાધૂંધ બ્લાસ્ટ અને કનેટ્રક્શને તેની ઝડપ વધારી છે. જ્યારે તેના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે જોશીમઠ શહેરની નીચે એક તરફ ધૌલી ગંગા અને બીજી બાજુ
અલકનંદા નદી છે. બંને નદી દ્વારા પહાડના ધોવાણથી પર્વત પણ નબળો પડી ગયો છે.
6. પ્રોજેક્ટ પર પ્રતિબંધ હોવા છતાં મોટાં મશીનો પર્વતો ખોદતાં રહે છે
NTPCના હાઇડલ પ્રોજેક્ટની 16 કિલોમીટર લાંબી ટનલ જોશીમઠની નીચેથી પસાર થઈ રહી છે. કાટમાળ પ્રવેશ્યા બાદ આ ટનલ બંધ કરી દેવામાં આવી છે. વૈજ્ઞાનિકો કહે છે કે ટનલમાં ગેસના નિર્માણથી સર્જાયેલું દબાણ જમીનને અસ્થિર કરી રહ્યું છે, જેને કારણે જમીન ધસી રહી છે.
પરિસ્થિતિ વણસી જતાં સરકારે NTPCની હાઇડલ પ્રોજેક્ટ ટનલ અને ચારધામ ઓલ-વેધર રોડ (હેલાંગ-મારવાડી બાયપાસ) પર કામ બંધ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ત્યાં માત્ર કાગળ પર જ કામ અટકી ગયું છે, પરંતુ સ્થળ પર મોટાં મશીનો સતત પહાડો ખોદી રહ્યાં છે.
7. જો પરિસ્થિતિનો તાત્કાલિક ઉકેલ ન આવે તો જોશીમઠનું અસ્તિત્વ સમાપ્ત થઈ શકે છે
ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે જોશીમઠ અલકનંદા નદી તરફ સરકી રહ્યું છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો અસરકારક પગલાં તાત્કાલિક લેવામાં નહીં આવે તો મોટી કુદરતી આફત આવી શકે છે, જેમાં જોશીમઠના અસ્તિત્વ સમાપ્ત થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.