કર્ણાટકમાં આમ તો ચૂંટણી આગામી વર્ષે એપ્રિલ-મેમાં થવાની છે, પરંતુ માહોલ સ્તાધારી ભાજપના પક્ષમાં નથી. ભાજપને અત્યારથી જ કારમી હારનો ડર છે. આ જોખમ ટાળવા ભાજપ હાઈ કમાન્ડ ઝડપથી ચૂંટણી કરાવવાનું વિચારી રહ્યો છે. તેઓ ઈચ્છે છે કે, કર્ણાટકની ચૂંટણી આ વર્ષે નવેમ્બર-િડસેમ્બરમાં પ્રસ્તાવિત ગુજરાતની ચૂંટણી સાથે કરાવી દેવાય.
હકીકતમાં કર્ણાટકમાં ભાજપની ત્રણ વર્ષ જૂની સરકાર આંતરિક વિખવાદો, ભ્રષ્ટાચાર અને સત્તાવિરોધી લહેરનો સામનો કરી રહી છે. જોકે, હાલના જ હિજાબ વિવાદ અને શિવમોગામાં બજરંગ દળના કાર્યકરની હત્યા જેવા ઘટનાક્રમે હિંદુ મતોને ભાજપ તરફ વળવામાં મદદ કરી છે. એટલે ભાજપ તેને ઝડપથી વટાવી લેવાનું વિચારી રહ્યો છે.
બીજી તરફ, વિપક્ષ જનતા દળ (સેક્યુલર)માં પક્ષપલટા ચરમસીમાએ છે. આ પક્ષના અનેક ધારાસભ્ય પોતાના દમ પર જીતી શકે છે, પરંતુ તેઓ પક્ષને અલવિદા કહી ચૂક્યા છે અથવા તો ચૂંટણીની તારીખો જાહેર થતા જ પક્ષ છોડવાનું મન બનાવી ચૂક્યા છે. આ ઉથલપાથલનો ફાયદો આમ તો કોંગ્રેસને મળવો જોઈએ, પરંતુ કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે. શિવકુમાર અને પક્ષના નેતા સિદ્ધારમૈયા વચ્ચે નેતૃત્વને લઈને ચાલતા ઘમસાણે તેમની આશા ફીકી કરી નાંખી છે.
સામુદાયિક સ્તરે સિદ્ધારમૈયાના મુકાબલે શિવકુમારની લોકપ્રિયતા ઘણી ઓછી છે. કોંગ્રેસને હવે કુરુબા-મુસ્લિમ પક્ષ તરીકે જોવાઈ રહ્યો છે. પક્ષના દક્ષિણ કર્ણાટકમાં જીત માટે વોકાલિગા સમાજના સમર્થનની જરૂર છે, જ્યારે શિવકુમાર આ સમુદાયને રીઝવવામાં અસમર્થ છે.
રાજ્યના બજેટમાં મુસ્લિમ સમાજની અવગણના
ભાજપના ઝડપી ચૂંટણી કરાવવાના ઈરાદા ચાર ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં જોવા મળ્યા છે. સીએમ બસવરાજ બોમ્મઈએ મોટી પરિયોજનાઓના મોટા વચનો નથી આપ્યા. પ્રજા પર બોજ નાંખવાથી બચીને નવા ટેક્સ પણ નથી લગાવ્યા. લિંગાયત અને વોકાલિગા સમાજનું ધ્યાન રાખ્યું છે. મરાઠા, જૈન, બૌદ્ધ, શીખ,ખ્રિસ્તીઓને ખુશ કર્યા છે, પરંતુ મુસ્લિમ સમાજના વિકાસ માટે કશું નથી આપ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.