કોરોનાની ત્રીજી લહેરની ચિંતા વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે મોટો નિર્ણય લેતાં રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કિટ્સ (RAT)ની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ નિકાસ નીતિમાં આ ફેરફાર વિશે માહિતી આપી હતી. DGFTના જણાવ્યા અનુસાર, કોરોનાનું પરીક્ષણ કરવા માટે લેબમાં વપરાતા કેમિકલના એક્સપોર્ટ પર પણ પ્રતિબંધ રહેશે.
દેશમાં વાઇરસનું પરીક્ષણ કરવા માટે પ્રારંભિક તબક્કાથી RT-PCR અને RATનો મોટે પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાઇરસ વિશે સચોટ માહિતી આપવા માટે RT-PCR વધુ સારો માનવામાં આવે છે. RATનો ઉપયોગ ઝડપી પરિણામો જાણવા માટે થાય છે. જોકે દર્દીનું ઝડપી પરીક્ષણ કર્યા પછી પણ વાઇરસ વિશેની સચોટ માહિતી માટે RT-PCR વધુ સારો માનવામાં આવે છે.
કોરોના સામે લડવા માટે કેરળને કેન્દ્ર તરફથી 267.35 કરોડનું પેકેજ મળશે
કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા માટે કેરળ માટે 267.35 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે કેરળની મુલાકાત દરમિયાન આ જાહેરાત કરી હતી. માંડવિયાએ રાજધાની તિરુવનંતપુરમ પહોંચીને કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
માંડવિયાએ મુખ્યમંત્રી પી. વિજયન અને રાજ્યનાં આરોગ્યમંત્રી વીણા જ્યોર્જ સાથે બેઠક યોજી અને મહામારી સામે રાજ્યની તૈયારીઓ વિશેની જાણકારી મેળવી હતી. માંડવિયાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર કેરળને મહામારી સામે લડવા માટે શક્ય તમામ મદદ કરશે. કેન્દ્ર સરકારે રાજ્યના આરોગ્ય માળખા માટે ઈમર્જન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ રૂ. 267.35 કરોડ આપવાનો નિર્ણય કર્યો છે.
માંડવિયા રાજ્યપાલ આરીફ મોહમ્મદને પણ મળ્યા હતા. કેરળમાં હાલમાં 1 લાખ 79 હજાર 155 એક્ટિવ કેસ છે, જ્યારે સંક્રમણને કારણે 18,601 લોકોનાં મોત નીપજ્યાં છે.
દેશમાં વેક્સિનેશનનો આંકડો 55 કરોડને પાર
દેશમાં વેક્સિનેશનનો આંકડો 55 કરોડને પાર કરી ગયો છે. સોમવારે 81 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. ઓગસ્ટના 15 દિવસમાં વેક્સિનના 7.5 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.