મનીષ સિસોદિયાની રિમાન્ડ 6 માર્ચ સુધી લંબાવાઈ:સિસોદિયાની જામીન અરજી પર 10 માર્ચે ચુકાદો, કોર્ટે CBI પાસેથી પણ જવાબ માગ્યો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાના રિમાન્ડ બે દિવસ માટે લંબાવવામાં આવ્યા છે. રાઉઝ એવન્યુ કોર્ટે શનિવારે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CMને 6 માર્ચ સુધી CBI કસ્ટડીમાં મોકલી દીધા છે. તે જ સમયે, સિસોદિયાએ દાખલ કરેલી જામીન અરજી પર કોર્ટ 10 માર્ચે પોતાનો ચુકાદો આપશે.

આજે એટલે કે શનિવારે સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. CBIએ કોર્ટ પાસે તેમની ત્રણ દિવસની કસ્ટડી માગી હતી. સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. 27 ફેબ્રુઆરીએ કોર્ટે તેમને પાંચ દિવસના CBI રિમાન્ડ પર મોકલી દીધા હતા. રિમાન્ડની મુદત આજે એટલે કે 4મી માર્ચે પૂરી થઈ હતી.

27 ફેબ્રુઆરીએ, કોર્ટે સિસોદિયાને 5 દિવસની કસ્ટડીમાં મોકલ્યા હતા, જે આજે એટલે કે 4 માર્ચે પૂરી થઈ હતી.
27 ફેબ્રુઆરીએ, કોર્ટે સિસોદિયાને 5 દિવસની કસ્ટડીમાં મોકલ્યા હતા, જે આજે એટલે કે 4 માર્ચે પૂરી થઈ હતી.

કોર્ટમાં ચર્ચા

CBI- સિસોદિયાના રિમાન્ડ ત્રણ દિવસ વધારવા જોઈએ.

કોર્ટ - કેમ? હવે શું બાકી છે?

CBI- મનીષ સિસોદિયાની રોજ રાત્રે 8 વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ તેઓ તપાસમાં સહયોગ નથી આપી રહ્યા. હવે તેમની પાસેથી ઘણા સવાલોના જવાબ મળવાના છે, આ સિવાય તેમને કેસના કેટલાક સાક્ષીઓનો સામનો કરવો પડશે.

સિસોદિયાના વકીલ દયાન કૃષ્ણન - રિમાન્ડ ન આપવા જોઈએ. અમે તપાસમાં સહકાર નથી આપી રહ્યા તે આધારે CBI રિમાન્ડની માગ ના કરી શકે. પ્રથમ વખત આ આધારે રિમાન્ડ આપવા પૂરતા હતા, હવે જો અપાશે તો વધુ પડતું થશે.

કોર્ટ- જો તમને લાગે કે રિમાન્ડ આપવાનું ખોટું હતું તો તે આદેશને હાઈકોર્ટમાં પડકારવો જોઈતો હતો.

સિસોદિયાના બીજા વકીલ મોહિત માથુર - ત્રણ દિવસના રિમાન્ડ બાદ રિમાન્ડ અરજીમાં કેટલીક નવી હકીકતો આવવી જોઈતી હતી, પરંતુ આજે પણ તપાસ એજન્સી એ જ દલીલ આપી રહી છે, જે પહેલા દિવસે આપવામાં આવી હતી.

કોર્ટ- તમને કસ્ટડીમાં કોઈ સમસ્યા છે?

સિસોદિયા- મને શારીરિક રીતે કોઈ સમસ્યા નથી. ભોજન પણ સમયસર મળે છે, પરંતુ અધિકારીઓ મને એક જ પ્રશ્ન વારંવાર પૂછે છે. આ કારણે હું માનસિક ત્રાસ અનુભવું છું. હું કોર્ટને અપીલ કરું છું કે મને આ ત્રાસમાંથી બચાવો.

કોર્ટ - CBIએ મનીષ સિસોદિયાની સમસ્યા પર ધ્યાન આપવું જોઈએ.

સિસોદિયાની દલીલ- પૂછપરછમાં સંપૂર્ણ સહકાર આપ્યો
શુક્રવારે સિસોદિયાએ નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેમણે લખ્યું છે કે તેમણે CBI તપાસમાં સહકાર આપ્યો છે. જ્યારે પણ તેમને બોલાવવામાં આવ્યા છે ત્યારે તેઓ આવ્યા છે. તેમણે દલીલ કરી હતી કે હવે તેમને કસ્ટડીમાં રાખવા માટે કોઈ યોગ્ય કારણ નથી, કારણ કે બધી રિકવરી CBIએ કરી લીધી છે.

કોર્ટે કહ્યું કે જામીન અરજી પર 10 માર્ચે બપોરે 2 વાગ્યે સુનાવણી થશે.

કોર્ટે સિસોદિયાને 6 માર્ચ સુધી CBI કસ્ટડીમાં મોકલી દીધા છે.
કોર્ટે સિસોદિયાને 6 માર્ચ સુધી CBI કસ્ટડીમાં મોકલી દીધા છે.

કેજરીવાલે કહ્યું- બીજેપી નેતાના પુત્ર પાસેથી 8 કરોડ રૂપિયા મળ્યા, પણ સિસોદિયા પકડાયા
દિલ્હીના CM કેજરીવાલે કર્ણાટકના દાવણગેરેમાં સિસોદિયાની કસ્ટડી વધારવા પર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે ભાજપના એક નેતાનો પુત્ર 8 કરોડ રૂપિયા સાથે પકડાયો હતો, પરંતુ તેની ધરપકડ કરવામાં આવી નથી. કદાચ આવતા વર્ષે ભાજપ તેમને પદ્મ ભૂષણ આપશે. તેના ઘરેથી 8 કરોડ રૂપિયા મળી આવ્યા અને મનીષ સિસોદિયાની ધરપકડ કરી. મનીષ સિસોદિયાના ઘરે દરોડા દરમિયાન કંઈ મળ્યું નથી.

રાઉઝ એવન્યુ કોર્ટમાં સિસોદિયાને હાજર કરતાં પહેલાં CBI ઓફિસની બહાર પોલીસ, રેપિડ એક્શન ફોર્સ અને CRPF તહેનાત કરવામાં આવી છે.
રાઉઝ એવન્યુ કોર્ટમાં સિસોદિયાને હાજર કરતાં પહેલાં CBI ઓફિસની બહાર પોલીસ, રેપિડ એક્શન ફોર્સ અને CRPF તહેનાત કરવામાં આવી છે.

CBIએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાને 8 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. 27 ફેબ્રુઆરીએ તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે સીબીઆઈને 5 દિવસની કસ્ટડી આપી હતી. 28 ફેબ્રુઆરીની સવારે કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સિસોદિયાની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે કોર્ટને આ મામલે તાત્કાલિક સુનાવણી કરવા અપીલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી.

CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે 28 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યે આ કેસની સુનાવણી કરી હતી. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, કોર્ટે અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે તમે હાઈકોર્ટમાં જાઓ, સીધા અમારી પાસે આવવાનો શો અર્થ છે. અમે ખોટી પરંપરાને પ્રોત્સાહન આપી શકતા નથી. બીજી તરફ, સિસોદિયાની ધરપકડ બાદ તેમણે અને સત્યેન્દ્ર જૈન, જે પહેલાંથી જ જેલમાં હતા તેમના મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું હતું.

આતિશી અને સૌરભ દિલ્હી સરકારના નવા મંત્રી બનશે
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજનાં નામ એલજીને મંજૂરી માટે મોકલ્યા છે. હવે સિસોદિયા અને જૈનના વિભાગની જવાબદારી કૈલાસ ગેહલોત અને રાજકુમાર આનંદની પાસે રહેશે. આ અંગે ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. સૌરભ ભારદ્વાજ કેજરીવાલની પ્રથમ 49 દિવસની સરકારમાં પરિવહનમંત્રી રહી ચૂક્યા છે. આતિશી માર્લેના એજ્યુકેશન સેક્ટરમાં સિસોદિયાના સલાહકાર રહી ચૂક્યા છે.

8 કલાકની પૂછપરછ બાદ CBIની ધરપકડ
CBIએ દિલ્હી કોર્ટને કહ્યું હતું કે સિસોદિયા તપાસમાં સહકાર આપતા નથી. તેઓ દરેક સવાલના ગોળગોળ જવાબો આપી રહ્યા છે, તેથી તેમના 5 દિવસ રિમાન્ડની જરૂર છે. સિસોદિયાના વકીલે એનો વિરોધ કર્યો હતો. તેમની દલીલ એવી હતી કે ડેપ્યુટી સીએમને રિમાન્ડ પર મોકલવાથી ખોટો સંદેશ જશે.

અન્ય સમાચારો પણ છે...