વૈશ્વિક મંદીના ખતરા વચ્ચે સૌથી મોટી ઇ-કોમર્સ દિગ્ગજ એમેઝોને મોટો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં, એમેઝોન આ વર્ષે પહેલા જ મહિનામાં મોટા પાયે કર્મચારીઓની છટણી કરવા જઇ રહ્યું છે. કંપનીએ 18,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. 18 જાન્યુઆરીથી છટણીની આ પ્રક્રિયા શરૂ થશે. દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ પર તોળાતા મંદીના ખતરા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી છટણીનો દોર ચાલુ છે. એમેઝોને એક સાર્વજનિક સ્ટાફ નોટ જારી કરીને કંપનીમાંથી છટણીની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદ હવે કર્મચારીઓ તેમનું નામ યાદીમાં છે કે નહીં તે અંગે ચિંતિત છે. એક અહેવાલ પ્રમાણે, ઑનલાઇન રિટેલર એમેઝોને કહ્યું કે કંપની 18,000થી વધુ કર્મચારીઓની છટણી કરી શકે છે. કંપનીના CEO એન્ડી જેસીની જાહેરાત અનુસાર આ મોટી છટણીની સૌથી વધુ અસર કંપનીના ઇ-કોમર્સ અને HR સેગમેન્ટના કર્મચારીઓ પર પડે તેવી શક્યતા છે. કંપનીએ છટણી પાછળ વધતી મોંઘવારી અને ઇનપુટ ખર્ચમાં વધારાનું કારણ દર્શાવ્યું છે. કંપનીમાં 18,000 લોકોની છટણીને કોર્પોરેટ વર્કફોર્સના હિસાબે જોઇએ તો તે અંદાજે 6 ટકા થાય છે. નોંધનીય છે કે અગાઉ પણ એમેઝોને તેની જાહેરાત કરી હતી, પરંતુ ત્યારે આ સંખ્યા માત્ર 10,000 હતી પરંતુ હવે તેને વધારીને 18,000 કરાઇ છે.
એમેઝોનમાંથી જે કર્મચારીઓની છટણી કરાશે તેઓને પેકેજ આપીને સેપરેશન પેમેન્ટની ચુકવણી કરાશે. તદુપરાંત હેલ્થ ઇન્શ્યોરન્સ તેમજ નવી નોકરી શોધવામાં પણ કંપની તેમને મદદરૂપ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.