જમ્મુ-કાશ્મીરમાં 30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા પહેલાં સરહદી વિસ્તારોમાંથી મળી આવેલા સ્ટિક બોમ્બ અને ડ્રોનને કારણે ચિંતા વધી છે. આ બોમ્બને સરળતાપૂર્વક કોઇ પણ વાહનમાં ફિટ કરી શકાય છે અને રિમોટ કંટ્રોલથી વિસ્ફોટ કરી શકાય છે. તેને ધ્યાનમાં રાખતા હવે સુરક્ષા એજન્સીઓએ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટેની તૈયારી શરૂ કરી છે.
કોરોના મહામારીને કારણે બે વર્ષથી બંધ એવી અમરનાથ યાત્રા 30 જૂનથી 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ વર્ષે 7 થી 8 લાખ શ્રદ્વાળુઓ મુલાકાત લે તેવી સંભાવના છે. ગુપ્તચર એજન્સીઓએ સ્ટિક બોમ્બ અને ડ્રોન હુમલાની આશંકા વ્યક્ત કરી છે.
શ્રદ્વાળુઓને 4-5 કલાક ચાલવાની સલાહ
વહીવટીતંત્રએ શ્રદ્વાળુઓ માટે કેટલાક નિર્દેશો પણ જારી કર્યા છે. તેમાં શ્રદ્વાળુઓને સ્વસ્થ રહેવા માટે દૈનિક સવાર-સાંજ 4-5 કલાક ચાલવાની સલાહ અપાઇ છે. ખૂબ જ ઊંચાઇ પર શ્વાસ લેવામાં તકલીફ ના પડે તે માટે શ્વાસથી જોડાયેલા પ્રાણાયામ કરવાનું સૂચન કરાયું છે. નોંધનીય છે કે ચારધામ યાત્રા દરમિયાન અનેક યાત્રીઓનાં મૃત્યુના સમાચાર બાદ વહીવટીતંત્રએ આ કવાયત ચાલુ કરી છે. યાત્રાના માર્ગ પર 70 હેલ્થ સેન્ટર બનશે. આ સેન્ટરો પર 1500થી વધુ આરોગ્ય કર્મચારીઓ હાજર રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.