દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર હવે ઘણી નબળી પડી ગઈ છે. વાઇરસને કારણે સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે સંક્રમણના 26 હજાર કેસ નોંધાયા હતા અને તેની સાથે જ 252 લોકોનાં મોત થયાં છે. આ દરમિયાન દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે, કોરોના હવે મહામારી રહી નથી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ખૂબ નહિવત્ છે, જોકે તેમણે એલર્ટ કર્યા છે કે જ્યાં સુધી ભારતમાં દરેક વ્યક્તિને વેક્સિન ના લાગી જાય ત્યાં સુધી સતર્ક રહેવાની જરૂર છે.
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું હતું કે લોકોએ તહેવારોમાં ભીડથી દૂર રહેવાની જરૂર છે. ભારતમાં હવે સંક્રમિતોના આંક 25 હજારથી 40 હજારની વચ્ચે આવી રહ્યા છે. જો લોકો સાવધાન રહે તો કોરોના સંક્રમણના કેસ ધીમે ધીમે ઘટી શકે છે. તેમણે કહ્યું હતું કે દેશમાં કોરોના સંપૂર્ણ રીતે હવે ક્યારેય સમાપ્ત નહીં થાય, પરંતુ ભારતમાં જે પ્રમાણે ઝડપથી વેક્સિનેશન થઈ રહ્યું છે એ જોતાં લાગે છે કે હવે એ મોટે પાયે ફેલાશે નહીં.
સામાન્ય શરદી-ખાંસી, તાવ જેવો થઈ જશે કોરોના વાઇરસ
એઇમ્સના ડિરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ કહ્યું હતું કે કોરોના વાઇરસ ખૂબ ટૂંક સમયમાં સામાન્ય ફ્લૂ એટલે કે સામાન્ય ખાંસી-શરદી અને તાવ જેવો થઈ જશે, કારણ કે લોકોમાં હવે આ વાઇરસ સામેની ઈમ્યુનિટી આવી ગઈ છે. જોકે વધારે બીમાર અને ઓછી ઈમ્યુનિટીવાળા લોકો માટે હજી પણ આ વાઇરસ જીવલેણ સાબિત થઈ શકે છે.
બૂસ્ટર ડોઝ પણ જરૂરી, પણ અત્યારે નહીં
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું હતું કે ભારતમાં પ્રાથમિકતા એ છે કે દરેક લોકોને વેક્સિનના બંને ડોઝ લગાવવામાં આવે. બાળકોને પણ વેક્સિન આપવામાં આવે. ત્યાર પછી જ બૂસ્ટર ડોઝ પર ભાર આપવો જોઈએ. તેમણે કહ્યું હતું કે થોડા સમય પછી ખૂબ બીમાર, વૃદ્ધો અથવા નબળી ઈમ્યુનિટીવાળા લોકોને જ બૂસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે. એ પણ જરૂરી નથી કે બૂસ્ટર ડોઝ એને જ આપી શકાય જેણે અગાઉ બે વેક્સિન લીધેલી હોય. જોકે આ વિશે પહેલાં એક પોલિસી બનાવવામાં આવશે.
ગુલેરિયાએ કહ્યું હતું કે અમુક લોકોને બૂસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. આ બૂસ્ટર ડોઝ વેક્સિનના બીજા ડોઝ તરીકે પણ આપવામાં આવી શકે છે, પરંતુ આ વિશે હજી નિર્ણય લેવામાં આવશે, પહેલા દરેકને વેક્સિનનો પહેલો ડોઝ મળે એ જરૂરી છે, ત્યાર પછી બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું હતું કે ડિસેમ્બર સુધી દેશમાં દરેક લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળી જાય એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આવતા મહિને શરૂ થશે 12-18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન
કોરોનાની ત્રીજી લહેરની વાતો વચ્ચે હવે દેશમાં 12-18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન આવતા મહિનાથી શરૂ થવાનું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દેશમાં બાળકોની ટ્રાયલ કોવેક્સિન ભારત બાયોટેક દ્વારા કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે જેના પર ટ્રાયલ ચાલી રહી છે તે બાળકોની સંખ્યા 1000 સુધી પહોંચી ગઈ છે.
તેના ત્રીજા ફેઝની ટ્રાયલ પૂરી થઈ ગઈ છે. કંપનીએ કહ્યું હતું કે આવતા સપ્તાહે થર્ડ ફેઝનો ડેટા DGCIને સોંપવામાં આશે. જ્યારે કંપનીનું કહેવું છે કે વેક્સિનનું ઉત્પાદન ઓક્ટોબરમાં 5.5 કરોડ ડોઝ સુધી પહોંચી જશે, જે સપ્ટેમ્બરમાં 3.5 કરોડ ડોઝના આંક કરતાં ઘણો વધારે છે.
રિકવરી દર 97.77%: સ્વાસ્થ્ય મંત્રાલય
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે એક્ટિવ કેસમાં કુલ સંક્રમિતોની સંખ્યા 0.90 ટકા છે, જે માર્ચ 2020 પછીનો સૌથી ઓછો આંક છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડામાં જણાવ્યું છે કે 24 કલાકના સમયમાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં 7,586નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે દર્દીઓનો સ્વસ્થ થવાનો દર 97.77 ટકા થઈ ગયો છે, જે માર્ચ 2020 પછીનો સૌથી વધારે છે.
દેશમાં વેક્સિનેશનનો આંક 82 કરોડને પાર
ભારતમાં કોરોના વિરુદ્ધ સતત વેક્સિનેશનનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, કુલ વેક્સિનેશનનો આંક 82 કરોડ 65 લાખ 15 હજાર 754 થઈ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.