ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે તેના ત્રણ મહાસચિવની એક ટીમ બનાવીને તેમને ચૂંટણીની વ્યૂહનીતિ બનાવવાની જવાબદારી સોંપી છે. આ કામ મહાસચિવ સુનીલ બંસલ, વિનોદ તાવડે અને તરુણ ચુગને સોંપાયું છે, જે એક ટીમ તરીકે કામ કરશે અને અન્ય પદાધિકારીઓ તેમની ટીમનો હિસ્સો હશે.
આ ટીમ એક પક્ષના કેન્દ્રીય અને રાજ્ય એકમના અનેક વરિષ્ઠ નેતાઓના ચૂંટણી કાર્યક્રમો નક્કી કરશે. ગઈ ચૂંટણીમાં જે બેઠકો પર પક્ષ બીજા નંબરે રહ્યો હતો, ત્યાં આ ટીમ ચર્ચાવિમર્શ કરીને પક્ષના ઉમેદવારો નક્કી કરશે. આ ઉપરાંત એવી બેઠકો પર સંગઠનાત્મક ગતિવિધિ માટે કાર્યકરોને સક્રિય કરવાનું તેમજ નવા મતદારોને પક્ષ સાથે જોડવા જેવા કામની પણ રૂપરેખા નક્કી કરાશે. લોકસભા મતવિસ્તારની રીતે લોજિસ્ટિક સપોર્ટ પહોંચાડવા, વિવિધ રાજકીય મુદ્દાની ઓળખ કરવા તેમજ વરિષ્ઠ નેતાનાં ભાષણો માટે સંભવિત કન્ટેન્ટ ભેગું કરવાની જવાબદારી પણ આ ટીમના નેતૃત્વમાં થશે. ભાજપના સૂત્રોના જણાવ્યાનુસાર, હોળી પછી તુરંત જ આ ટીમ તેમનું કામ શરૂ કરી દેશે.
એવું કહેવાય છે કે, દક્ષિણ ભારતના રાજ્યો સહિત ઓડિશા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આ ટીમ એવા પાછલી ચૂંટણીમાં હિસ્સો લેનારા પ્રભાવશાળી રાજકીય પક્ષોને ભાજપ સાથે જોડી દેવા અભિયાન ચલાવશે. તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં પક્ષના ઉમેદવારો બની શકે છે. હાલ પક્ષ પાસે 266 લોકોની યાદી છે, જેમને જોડવાથી એ બેઠકો પર ભાજપ મજબૂત સ્થાનિક પક્ષોના ઉમેદવારોને બરાબરીની ટક્કર આપી શકે એવી સ્થિતિમાં આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.