- શરદ પવારે કહ્યું- ચિંતા મોદીની નહીં, અમિત શાહની હતી, હું તેમનાથી સાવચેત રહ્યો
- ફડણવીસના સવાર-સવારમાં શપથગ્રહણ જોઈ મને આંચકો લાગ્યો હતો: પવાર
- મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે પવારે ખુલાસો કર્યો
Divyabhaskar.com
Dec 03, 2019, 02:52 PM ISTઅજિત આવું પગલું ભરશે તેનું મેં વિચાર્યું નહોતું: શરદ પવાર
મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપની સરકાર રાતોરાત બની અને ત્રણ દિવસ બાદ પડી પણ ગઈ. પછી શિવસેના-કોંગ્રેસ અને એનસીપીએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બનાવી લીધી. તેના શિલ્પકાર રહેલા શરદ પવારે માન્યું કે અજિત પવારનો ભાજપ સાથે હાથ મિલાવવાનું તેમના માટે એક આંચકો હતો. પવારે કહ્યું- ‘અજિત પવારે એક દિવસ મને કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ બોલાવી રહ્યાં છે. કહે છે કે થોડી વાત કરવી છે. રાજકારણમાં સંવાદ જળવાઈ રહેવો જોઈએ. એ સમજી મેં તેમને મંજૂરી આપી દીધી. પરંતુ અજિતે ફડણવીસને કહ્યું કે જો આજે જ શપથ લેવા તૈયાર હો તો હું બધુ કરી શકું છે. અજિત આવું પગલું ભરશે તેનું મેં વિચાર્યું નહોતું.’ પવારે કહ્યું- સવાર-સવારમાં શપથગ્રહણ જોઈ મને આંચકો લાગ્યો હતો. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ કેટલી ઝડપથી કામ કરે છે એ પણ જોયું.
શિવસેના સાથે આવવા સોનિયાને રાજી કર્યાં
પવારે કહ્યું- સોનિયા ગાંધી શિવસેના સાથે જવા તૈયાર નહોતાં. શિવસેના ભાજપ સાથે નહીં જાય તે જાણતા જ મેં સોનિયા સાથે વાત કરી. મેં તેમને યાદ અપાવ્યું કે ઇન્દિરા ગાંધી જ્યારે કટોકટી લાદી હતી ત્યારે બાળ ઠાકરેએ તેમને સમર્થન આપ્યું હતું. ચૂંટણીમાં તેમને કોંગ્રેસ વિરુદ્ધ એક પણ ઉમેદવાર ઉતાર્યો નહોતો. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ એનડીએમાં હોવા છતાં તેમણે પ્રતિભા પાટિલ અને પ્રણવ મુખરજીને સમર્થન આપ્યું હતું. થાણે મહાનગરપાલિકામાં પણ બાળ ઠાકરેએ કોંગ્રેસની મદદ કરી હતી.
અજિતને ડેપ્યુટી સીએમ બનાવવા સસ્પેન્સ રાખ્યું
પવારે કહ્યું કે મોટાભાગના ધારાસભ્ય અજિત પવારને મંત્રીપદ આપવાના પક્ષમાં છે. પરંતુ અજિત પવારનું કહેવું છે કે તેમનાથી ભૂલ થઈ છે તેથી ઉતાવળમાં તેમને કોઈ પદ જોઈતું નથી. આ એક પ્રકારે તેમની ભૂલની સજા પણ છે. આગળ પણ તેમણે ડેપ્યુટી સીએમ બનાવવા કે નહીં તે પાર્ટીમાં હજુ નક્કી થયું નથી.