- કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ઘુસણખોર કહ્યા હતા
- કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું- કોંગ્રેસના અધ્યક્ષ પોતે ઘુસણખોર છે, અધીર રંજનના નિવેદન પર રાહુલ-સોનિયા માફી માંગે
- સીતારમણ વિશે કરેલી ટિપ્પણી પર અનુરાગ ઠાકુરે કહ્યું- માફી માંગો, જીભ એક વખત લપસે વારંવાર નહીં, તમે મહિલાઓનું અપમાન કર્યું છે
Divyabhaskar.com
Dec 02, 2019, 07:36 PM ISTનવી દિલ્હી: કરવેરા કાયદા(સુધારો) બિલ 2019 લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે. આ બિલનો ઉદ્દેશ્ય ઉત્પાદન ક્ષેત્રમાં વિદેશી મૂડી રોકાણને આકર્ષવાનો છે. તેના માટે સરકારે ઉત્પાદન ક્ષેત્રમાં કોર્પોરેટ ટેક્સનો બેઝ 25 ટકાથી ઘટાડીને 15 ટકા કર્યો છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આ મામલે સાંસદોના સવાલોના જવાબ આપીને બિલ રજૂ કર્યું હતું. આ પહેલા કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ સોમવારે લોકસભામાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ અમર્યાદિત શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ચૌધરીએ સીતારમણ માટે કહ્યું કે મારા મનમાં તમને લઇને સન્માન બહુ છે પરંતુ વિચારું છું કે તમને નિર્મલા સીતારમણની જગ્યાએ 'નિર્બલા' સીતારમણ કહેવું યોગ્ય રહેશે. ચૌધરીએ કહ્યું કે તમે મંત્રી પદ પર તો છો, પરંતુ તમારા મનમાં છે તે કહી શકો છો કે નહીં.
આ મામલે રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે અંધીર રંજનને કહ્યું હતું કે જીભ એક વખત લપસી શકે છે, વારંવાર નહીં. તમે મહિલાઓનું અપમાન કર્યું છે. નિર્મલાજી તેમની મહેનતથી અહીં છે કોઇના રહેમોકરમથી નહીં. તમે મહિલાઓનું અપમાન કર્યું છે અને હજુ માફી નથી માંગી. તમને માફી માંગવી જોઇએ. ત્યારબાદ સાંસદોના બિલ અંગેના સવાલોના જવાબ આપીને નિર્મલા સીતારમણે કહ્યું કે હું નિર્મલા છું અને હું સબલા છું. અમારી પાર્ટીમાં દરેક મહિલા સાંસદ સબલા(સબળા) છે. ચૌધરીએ રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતા શાહને ઘુસણખોર કહ્યા હતા. આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ અધીર રંજનને માફી માગવા કહ્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું- કોંગ્રેસમાં જરાય પણ અક્કલ હોય તો માફી માગે
જોશીએ સોમવારે કહ્યું- હું અધીર રંજન ચૌધરી દ્વારા મોદી અને શાહ વિશે આપવામાં આવેના નિવેદનની નિંદા કરું છું. કોંગ્રેસના અધ્યક્ષા ઘૂસણખોર છે. જો કોંગ્રેસમાં જરાય પણ અક્કલ હોય તો તેઓ માફી માગે. જો આવું નહીં થાય તો હું માંગ કરું છું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અધીર રંજનના નિવેદન પર માફી માંગે.
તેના જવાબમાં અધીર રંજને કહ્યું તેઓ અમારી નેતા સોનિયા ગાંધીજીને ઘુસણખોર કહી રહ્યા છે. તમે લોકો શું કરી રહ્યા છો ? જો અમારા નેતા ઘુસણખોર છે તો તમારા લીડર પણ છે.
ચૌધરીએ કહ્યું હતું- મોદી-શાહ દેશમાં ડરનો માહોલ બનાવી રહ્યા છે
ચૌધરીએ નાગરિકતા સંશોધન બિલને લઇને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું- મોદી અને શાહ ઘુસણખોર છે. તેમનું ઘર ગુજરાતમાં છે પરંતુ આ લોકો દિલ્હી આવી ગયા. ચૌધરીએ કહ્યું કે હિન્દુસ્તાન સૌ કોઇ માટે છે, શું તે કોઇની જાગીર છે ? ભારત હિન્દુ, મુસ્લિમ અને બાકી દરેક માટે છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી દેશમાં ભયનો માહોલ બનાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે મુસલમાનોને બહાર ફેંકી દેશે. તેમની પાસે આવુ કરવાની હિંમત નથી પરંતુ તેઓ દેખાડવા માગે છે કે અહીં માત્ર હિન્દુઓને રહેવાની અનુમતિ છે.