તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગઇ વખતે આપણે જાણ્યું કે કઇ રીતે મહેબૂબ ખાને પોતાના મિત્ર બાબુભાઇ મહેતાની વાત માનીને પર્લ એસ. બકની અંગ્રેજી ફિલ્મની વાર્તાને હિંદીમાં પરિવર્તિત કરી ભારતના ગ્રામ્ય પરિવેશમાં બનાવવાનું નક્કી કર્યું અને 1940માં બનાવેલી હિટ ફિલ્મ પછી 1957માં એ જ ફિલ્મની રીમેક બની ‘મધર ઇન્ડિયા.’ ફિલ્મ ‘ઔરત’માં નરગિસવાળી ભૂમિકા સરદાર અખ્તરે નિભાવી હતી, જે પછી શ્રીમતી મહેબૂબ ખાન બન્યાં. રાજકુમારનો રોલ ગોવિંદાના પિતા અરૂણ આહૂજાએ અદા કર્યો હતો. બંને પુત્રો રામુ અને બિરજુની ભૂમિકામાં હતા, સુરેન્દ્રનાથ અને યાકૂબ, જ્યારે ‘મધર ઇન્ડિયા’માં આ બંને પુત્રોની ભૂમિકામાં હતા રાજેન્દ્રકુમાર અને સુનીલ દત્ત. હા, આ બંને ફિલ્મોમાં સમાનતા હતી એક જ વાતની કે બંને ફિલ્મોમાં સુખીલાલાની ભૂમિકા ભજવનાર કલાકાર એક જ હતા, કનૈયાલાલ. સંગીતકાર નૌશાદ અનુસાર, મહેબૂબ ખાને પોતાના ટીમના સાથીદારો, કેમેરામેન ફરીદૂન ઇરાની, લેખક આર.એસ. ચૌધરી, આસિસ્ટન્ટ ડિરેક્ટર ચમનકાંત ગાંધી સાથે એક મીટિંગ દરમિયાન ‘ઔરત’ની રી-મેક બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે એમને એમ ન કરવાની સલાહ આપવામાં આવી. કારણ એ હતું કે ‘ઔરત’ને એક ક્લાસિક ફિલ્મની ગણતરીમાં લેવાઇ ગઇ હતી અને એની રીમેક બનાવવાનું જોખમી હતું. છતાં મહેબૂબ ખાને પોતાનો મક્કમ ઇરાદો જણાવતાં કહ્યું હતું, ‘મારા મનમાં જે વાત છે એ તમે લોકો સમજતા નથી. હું ‘ઔરત’ ફિલ્મની મૂળ વાર્તામાં કોઇ ફેરફાર નહીં કરું. એ ફિલ્મમાં બિરજુનો રોલ મુખ્તસર (નાનો) હતો. આ ફિલ્મમાં એનો રોલ નાનપણથી હશે. સુખીલાલાના પાત્રને પણ લંબાવવામાં આવશે. નવી ફિલ્મમાં સુખીલાલાનો રોલ શરૂઆતથી અંત સુધી હશે, પણ અલગ હશે.’ આ ઇરાદો હતો, એક સર્જકની દૃષ્ટિનો. એમના આ દૃષ્ટિકોણનો કમાલ જુઓ કે જેણે એક જ વાર્તા પરથી બીજી ફિલ્મ બનાવી, તો ઓરિજિનલ કરતાં વધારે સારી કરી બતાવી. હા, એક જરૂરી વાત પણ અહીં જણાવી દઉં. ફિલ્મ ‘ઔરત’માં યાકૂબે બિરજુનું પાત્ર ભજવ્યું હતું અને એ પોતાના લેખક અને નિર્દેશકના વિચારથી પણ સારી રીતે ભજવ્યું હતું. વ્યાજખોર લાલાના અન્યાય અને શોષણ સામે બળવો કરનાર બની એ ફિલ્મ પર છવાઇ ગયો હતો. ‘મધર ઇન્ડિયા’માં સુનીલ દત્તને આ ભૂમિકા અદા કરવાનો મોકો મળ્યો, ત્યારે એ પણ સફળ તો થયા, પણ યાકૂબની ઊંચાઇને સ્પર્શી ન શક્યા. અરે હા, મૂળ વાત જે જણાવવાની છે એ તો રહી જ ગઇ. ફિલ્મની શરૂઆત વખતે બિરજુની ભૂમિકા આપણા ધ ગ્રેટ દિલીપકુમારને ઓફર કરવામાં આવી હતી અને એ આ ભૂમિકા માટે તૈયાર પણ થઇ ગયા હતા, પરંતુ પેલી કહેવત તો તમે સાંભળી જ હશે ને, ‘દાને-દાને પે લિખા હૈ, ખાનેવાલે કા નામ’. તો આ દાણા પર સુનીલ દત્તનું નામ લખ્યું હતું. અને… દિલીપકુમારને ફિલ્મમાં લેવાનો અર્થ જ એવો થતો હતો કે વાર્તામાં એ ફિલ્મનું કેન્દ્રબિંદુ રહે અને વાર્તા એમની આસપાસ જ ફરતી રહે. આ વખતે પણ એમણે આવતાંની સાથે જ મહેબૂબ ખાન અને તેમના લેખકોની ટીમને વાર્તામાં ફેરફાર કરવાની સૂચના આપી. આ સૂચનામાંથી એક સૂચના હતી દિલીપકુમારનો ફિલ્મમાં ડબલ રોલ! અને તે સાથે જ …. અનેકાનેક માફી સાથે ‘ક્ષમા કીજિયેગા હૂટર બજ ચૂકા હૈ…’ આજનો એપિસોડ અહીં જ પૂરો કરવો પડશે. આપસ કી બાતમાં ‘મધર ઇન્ડિયા’ની વાતને આવતા અંકમાં આગળ વધારીશું. (ક્રમશ:) ⬛
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.