પિયુ પરદેશથી રે ઘેર આવ્યા,
પિયુ તમે શું રે કમાણી કરી લાવ્યા?
દરિયો ડોળી ને ઘેર આવ્યા.
ઝાંઝરીની બબ્બે જોડય અમે લાવ્યા,
એ તો મારી રાધાજી સાટુ લાવ્યા.
પિયુ પરદેશથી રે...
ચૂડલાની બબ્બે જોડય અમે લાવ્યા,
એ તો મારી માનેતી સાટુ લાવ્યા.
પિયુ પરદેશથી રે...
નથણીની બબ્બે જોડય અમે લાવ્યા,
એ તો મારી રાધાજી સાટુ લાવ્યા.
પિયુ પરદેશથી રે...
હારલો વોરીને અમે લાવ્યા,
એ તો મારી માનેતી સાટુ લાવ્યા.
પિયુ પરદેશથી રે...
લોકગીત એટલે લોકનાદ. લોકગીત એટલે લોકનાડનો ધબકાર. લોકગીત એટલે લોકનો ગવાયેલો રાગ. લોકશાહીની વિશ્વપ્રસિદ્ધ વ્યાખ્યા ‘ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, ફોર ધ પીપલ’ છે એવું જ લોકગીત વિશે કહી શકાય. લોકગીત લોકોનું, લોકો વડે અને લોક માટે છે. લોકગીત મનોરંજન પછી પીરસે છે, પહેલાં તો એ સંદેશો આપે છે પણ આપણું ધ્યાન સંદેશો તરફ જતું નથી. જોકે, એમાં લોકગીતનો કંઈ વાંક નથી.
ઘણીવાર આપણે કલ્પના કરતા હોઈએ કે તુક્કા લડાવતાં હોઈએ છીએ કે સ્ત્રી ન હોત તો શું થાત? એના જવાબો પણ સૌ પોતપોતાના સ્વાનુભવે આપતા હોય છે પણ સ્ત્રી ન હોત તો આપણને આટલાં અમૂલખ લોકગીતો ન મળત એ નિર્વિવાદ વાત છે. સ્ત્રીના અન્ય ઉપકારો કેટલા હશે એ ચર્ચાનો વિષય છે પણ પોતે લોકગીતનો વિષય બની,પોતે જ લોકગીતો જન્માવ્યાં અને ચોક વચાળે રાસડા લેતાં લેતાં ગાયાં એમાં કોણ ના પડી શકે? આપણી માતાઓ-બહેનો દુઃખી થઇ તોય એણે ગામના પાદર કે ચોરાના ચોકમાં આવીને ગોતના રૂપના પોતાનું દુઃખ ગાઈ નાખ્યું! ને એ લોકગીત બની ગયાં. દુઃખનુંય ગીત કરીને ગાઈ નાખે એવી આપણી માનુનીઓ માટે ખાલી 8 માર્ચે જ નહીં પણ બાકીના 364 દિવસો ‘મહિલા દિન’ જ હોય છે...!
‘પિયુ પરદેશથી રે ઘેર આવ્યા...’ સાવ સીધું સાદું અજાણ્યું લોકગીત છે. વર્ષો પહેલાં ગુજરાતીઓ વિદેશ કમાવા જતાં એ વખતનું આ લોકગીત છે. એક પુરુષ પરદેશથી આવ્યો તો સ્વાભાવિકપણે જ પત્ની ઉત્કંઠા સેવે કે કેટલી કમાણી કરી? પોતાના માટે શું શું લાવ્યા? ‘દરિયો ડોળીને ઘેર આવ્યા’ એવું પત્ની કહે છે સાચું છે કેમકે એ વખતે હવાઈસેવા હતી નહીં, દરિયાઈ માર્ગે જવું પડતું. આપણાં લોકો બર્મા, આફ્રિકન દેશોમાં જતાં તો સ્ટીમરમાં બે-ત્રણ અઠવાડિયા મુસાફરી કરે ત્યારે પહોંચતું હતું.
લોકગીતનો નાયક કહે છે કે હું ઝાંઝરી, ચૂડલો, નથણી, હારલો જેવાં આભૂષણોની બે બે જોડી લાવ્યો છું પણ એ તો હું રાધા માટે, મારી માનેતી માટે લાવ્યો છું! અહીં પતિના જવાબથી ગૂંચવાડો ઊભો થાય એવું લાગે છે કેમકે પરદેશથી પતિ ઘણા લાંબા અંતરાલ પછી આવ્યો, પત્નીના વિરહનો હવે અંત આવ્યો એનો ભારોભાર આનંદ છે પણ ઘરેણાં કોના માટે લાવ્યો એ વાતથી બીજા સવાલો ખડા થયા.
પતિએ જેને રાધા કહીને માનેતી કહ્યાં એ કોણ? એક નાનકડી શંકા વર્ષોના મધુરા દામ્પત્યજીવનને હચમચાવી નાખે એ સર્વવિદિત છે. અહીં પત્નીએ ચોખ્ખું જ પૂછી લેવું જોઈએ કે જેના માટે અલંકારો લઈ આવ્યાં છે એ રાધા અને માનેતી કોણ છે? તો પતિ એક જ જવાબ આપત કે તું...તારા સિવાય બીજું કોણ હોય?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.