આજકાલ સોશિયલ મીડિયા વડે જ આપણને ખબર પડી છે કે અલ્યા, આપણને નિશાળમાં જે ઈતિહાસ ભણાવ્યો હતો એ તો સાવ ખોટ્ટો હતો! પરંતુ એ તો કંઈ નથી, આગળ જતાં આ પ્રાઈવેટ ન્યૂઝ ચેનલો જૂની બાળવાર્તાઓમાં પણ જોરદાર ‘ખુલાસા’ લઈ આવે તો? * * * કાચબાઓનું કાવતરું… સસલાનો પર્દાફાશ! વર્ષો પહેલાં થયેલી કાચબા અને સસલાની રેસમાં સસલું હારી શી રીતે ગયું હતું? એના ‘બ્રેકિંગ ન્યૂઝ’ આવશે… ‘કિસને છિડકી થી ઘાસ કે ઉપર નીંદ કી દવાઈ?’ એમાં આગળ સનસનાટીભર્યો ખુલાસો થશે કે સસલાને હરાવવા પાછળ એક આંતરરાષ્ટ્રીય લોબીનું મોટું ષડયંત્ર હતું! સસલું તો રેસમાં ક્યાંય આગળ નીકળી ગયું હતું, પણ એને કૂણું કૂણું ઘાસ ખાવાની લાલચ કેમ જાગી? કારણ કે ઘાસ ઉપર એક ખાસ જાતનું કેમિકલ છાંટવામાં આવ્યું હતું! આની ખાસ સુગંધથી સસલું લલચાઈ ગયું! પરંતુ જુઓ એ લોબીની ચાલાકી! ઘાસ ખાતાં જ સસલાને ઊંઘ ચડી ગઈ! ‘આપકો લગતા હોગા કિ કોઈ ઐસા ક્યૂં કરેગા? મગર વહીં સે એક ‘નેરેટિવ’ બનાને કી શુરુઆત હુઈ! યહ હમારી પૂરી પીઢી કો ઢીલી, સુસ્ત ઔર નામર્દ બનાને કી સાજિશ થી!…’ પેલી લોબીનું આખું ‘નેરેટિવ’ એ હતું કે ભારતનાં બાળકોનાં દિમાગ નાનપણથી જ ‘બ્રેઈનવોશ’ કરી દેવામાં આવે કે ‘ધીમા પડો, કોઈ ઉતાવળ નથી… સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ…’ આમાં ને આમાં દેશની પ્રગતિ અટકી ગઈ! લોકો કાચબાની જેમ ધીમા અને ‘સહિષ્ણુ’ બની ગયાં! બીજી બાજુ વિદેશી લોકો સસલાની ગતિએ આગળ વધતાં જ ગયાં! આપણે ડોબા કાચબા જેવા જ રહી ગયાં! યાદ કરો… જ્યારે આ વાર્તા પાઠ્યપુસ્તકોમાં ઘુસાડવામાં આવી ત્યારે દેશમાં કોનું રાજ હતું? - હવે સમજ્યા? * * * વાઘને કોણે બોલાવ્યો… ગોવાળિયાની સાજિશ ‘વાઘ આવ્યો રે વાઘ…’ એ વાર્તા યાદ છે ને? એ વાર્તાનું ‘ડિપ સોશિયો પોલિટિકલ’ એનાલિસિસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સુપ્રીમ પેનલનું ગઠન કરવામાં આવ્યું હતું! આમાં દેશના અતિશય બુદ્ધિમાન અને સંવેદનશીલ મહાનુભાવોને રાખવામાં આવ્યા હતા. આ રહ્યો એમનો ‘સ્ફોટક’ રિપોર્ટ… પેનલના કહેવા મુજબ આખી ઘટનામાં વાઘનો કોઈ વાંક જ નહોતો. વાઘ મૂળત: એક શાંતિપ્રિય પ્રાણી છે. તે તો ગામથી દૂર, છેક પહાડોની પેલે પારના જંગલમાં રહેતો હતો. તેનો આ ગામનાં પ્રાણીઓ ઉપર હુમલો કરવાનો કે તેમને ફાડી ખાવાનો કોઈ વિચાર સુદ્ધાં નહોતો, પરંતુ આ ગામનો એક હિંસક વિચારધારા ધરાવનારો ગોવાળિયો સતત વાઘની ઉશ્કેરણી કરતો હતો કે ‘વાઘ આવ્યો રે વાઘ… વાઘ આવ્યો રે વાઘ…’ આવી સેંકડો ઉશ્કેરણીઓ છતાં વાઘ શાંત હતો, પરંતુ વાઘની બદનામી (યાને કે નિંદા) ચાલુ રાખતા વાઘ એકાદ વાર ઉશ્કેરાઈ ગયો હતો, જેમાં ભૂલથી તેના દ્વારા ગામનાં પશુઓ ઉપર જાનલેવા હુમલો થઈ ગયો હતો! - બોલો, આ રિપોર્ટ વાંચ્યા પછી તમે પણ વિચારતા થઈ ગયાં ને, કે આ ‘વાઘ આવ્યો રે વાઘ…’ની બૂમરાણ સાવ ખોટ્ટી જ છે?!⬛ mannu41955@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.