વડોદરાઃ વડોદરા શહેરના મકરપુરા રોડ પર આજે વહેલી સવારે 5 વાગ્યે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.
ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાયો
મકરપુરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. અને કારમાં ફસાયેલા લોકો બહાર કાઢ્યા હતા. જેમાં વડોદરાના મકરપુરા રોડ પર આવેલી એ-52, યોગેશ્વર સોસાયટીમાં ઓમપ્રકાશ નાથુરામ બીજ(72)ના બે પગ કપાઇ ગયા હતા. જેથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પુત્રને નોકરી માટે જવાનું હોવાથી ઓમપ્રકાશભાઇ વેગન કાર લઇને સુશેન સર્કલ સુધી મૂકવા માટે ગયા હતા. જ્યાંથી પરત ઘરે જતી વખતે સ્વિફ્ટ કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
ફાયર બ્રિગેડે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા
વડોદરા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, અકસ્માતનો કોલ મળતા જ અમારી ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.