ઘઉંના ભાવને નિયંત્રણમાં કરવા માટે સરકાર તરફથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેબ્રુઆરી માસના અંતથી ચાલતા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ઘઉંના ભાવમાં આગઝરતી તેજી આવી છે. ઘઉંની આયાત અને નિકાસ માટે યુક્રેન મુખ્ય સ્થાન હોવાથી કાળા સમુદ્રના પ્રદેશમાંથી નિકાસમાં ઘટાડો થતાં વૈશ્વિક ખરીદદારો ઘઉંના પુરવઠા માટે ભારત તરફ ધ્યાન આપી રહ્યા હતા.ગ્લોબલ માર્કેટમાં જે દેશો રશિયા અને યુક્રેન પાસેથી ઘઉં આયાત કરતા હતા તેવા દેશોમાં પણ ઘઉંની નિકાસ કરીને ભારત દેશ ઘઉંની નિકાસ કરવામાં મોખરે રહ્યો છે.
હાલમાં ભારત દેશે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. સરકાર તરફથી નિકાસ બંધ કરવાથી તાત્કાલિક ધોરણે તો ઘઉંના ભાવ ઘટવાની મોટી શક્યતા છે, પરંતુ સરકારે નિકાસનો નિર્ણય ખૂબ જ મોડો લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે દેશમાં ઓછા ઉત્પાદન અને ઊંચા ભાવની અસર સરકારી ગોડાઉનના પુરવઠા ઉપર પણ પડી છે. સરકાર પાસે ઘઉંનો જે પુરવઠો છે તે ખૂબ જ ઓછો છે. છેલ્લાં પાંચ વર્ષ કરતાં સૌથી ઓછો પુરવઠો આ વર્ષે છે.
આ વર્ષે 11 મે સુધીમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફ.સી.આઈ.)એ 178 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે જે ગયે વર્ષે 341.8 લાખ ટન હતી. ઘઉંની નિકાસ કરવા છતાં ભાવો કાબૂમાં રાખવા વિશે સરકાર તરફથી ઘણી મોટી મોટી વાતો કરવામાં આવી હતી અને ઘઉંના ભાવ આસમાને પહોંચ્યા હતા, પરંતુ ભારત તરફથી મોટા ભાગનો માલ નિકાસ થઇ ચૂક્યો હોવાથી સરકાર પાસે પુરવઠો પાંચ વર્ષના તળિયે રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.