ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે રાષ્ટ્રવાદીના પ્રમુખ શરદ પવાર પર ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ, 1993ના મુંબઈના સિરિયલ બ્લાસ્ટ અને ઈશરત જહાં એન્કાઉન્ટર સહિતના વિવિધ મુદ્દાઓ પર પ્રહાર કર્યા હતા અને રાષ્ટ્રવાદી ખુશામતી રાજકારણ અને કોમી મુદ્દે સમાજનું ધ્રુવીકરણ કરે છે એવા આરોપ કર્યા હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતી સાથે જોડાયેલી 14 ટ્વીટ્સની શ્રેણીમાં, ફડણવીસે ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ઈચ્છા અને મૂલ્યોની વિરુદ્ધ જવાનો પવાર પર આરોપ મૂક્યો હતો.
પવાર હિંદુ આતંકવાદ શબ્દનો ઉપયોગ કરનાર પ્રથમ વ્યક્તિ હતા.પવારે તાજેતરમાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને ટીકા કરી હતી. ફડણવીસે જણાવ્યું હતું કે, આ ટીકા રાષ્ટ્રવાદીના ખુશામતી રાજકારણ અને સમાજના ધ્રુવીકરણમાં સંડોવણીને સંપૂર્ણપણે અનુરૂપ છે. રાજ્ય વિધાનસભામાં વિરોધી પક્ષના નેતા ફડણવીસે પવાર અને રાષ્ટ્રવાદી સામેના તેમના આક્ષેપોને સમર્થન આપવા માટે વિવિધ સમાચાર અહેવાલોની લિંક્સ ટેગ કરી હતી.
તેમણે પવારને ટાંકતાં મિડિયા રિપોર્ટ્સ પોસ્ટ કર્યા કે, મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક (ઈડી દ્વારા ગયા મહિને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી)ને ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથે જોડવામાં આવી રહ્યો છે, કારણ કે તે મુસ્લિમ છે. અન્ય એક અહેવાલમાં પવારને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઈશરત જહાં નિર્દોષ હતી. ઇશરત જહાંને 2004માં ગુજરાતમાં એક કથિત નકલી એન્કાઉન્ટરમાં અન્ય ત્રણ સાથે મારી નાખવામાં આવી હતી. ચારેય પર ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ હતો.
ફડણવીસે કહ્યું કે 2012માં જ્યારે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી મહારાષ્ટ્રમાં સત્તામાં હતી ત્યારે મુંબઈ આઝાદ મેદાનમાં શરમજનક હિંસા થઈ હતી. અમર જવાન જ્યોતિ સ્મારકને અપમાનિત કરવામાં આવ્યું હતું, પરંતુ ગૃહ વિભાગ સંભાળનાર રાષ્ટ્રવાદીએ હિંસા માટે જવાબદાર રઝા એકેડેમી પ્રત્યે નરમ વલણ અપનાવ્યું હતું અને તેના બદલે મુંબઈ પોલીસ કમિશનરની બદલી નાખી હતી, એમ તેમણે આક્ષેપ કર્યો હતો.ફડણવીસે કહ્યું, આપણા બંધારણમાં આવી જોગવાઈ ન હોવા છતાં મહારાષ્ટ્રમાં મુસ્લિમ ક્વોટા લાવવાની રાષ્ટ્રવાદીની ભવ્ય યોજના છે.
બંધારણીય મૂલ્યો પર વોટ બેંકની રાજનીતિ શરમજનક છે! પવાર નિવેદનો જેમ કે, લઘુમતીઓ કોને હરાવવાનું નક્કી કરે છે અને રાષ્ટ્રવાદી સચ્ચર સમિતિના અહેવાલને લાગુ કરવાની માગણી કરે છે તે વિશે ફડણવીસે કહ્યું, 12 માર્ચ, 1993ના જ્યારે મુંબઈ 12 બોમ્બ વિસ્ફોટોથી હચમચી ગયું હતું ત્યારે શરદ પવારે મુસ્લિમ વિસ્તારમાં 13મો વિસ્ફોટ કર્યો હતો.
કાયદો અને વ્યવસ્થા, ખુશામત તેમની પ્રથમ અગ્રતા હતી. આપણે સાંપ્રદાયિક સૌહાર્દની અપેક્ષા રાખીએ છીએ ત્યારે આવાં બેવડાં ધોરણો શા માટે? ભૂતપૂર્વ મુખ્ય મંત્રીએ કહ્યું કે પવારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીકા કરી કારણ કે તે સ્યુડો-સેક્યુલર એજન્ડાને અનુરૂપ નથી.
બાબાસાહેબ કલમ 370ની વિરુદ્ધ હતા
ડૉ. બાબાસાહેબ આંબેડકરના ભારતમાં સમાજની સંવાદિતાને ખલેલ પહોંચાડવાના આવાં કૃત્યો અને અભિગમને સ્વીકારી શકાય નહીં, ફડણવીસે કહ્યું કે ડૉ. આંબેડકર જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ના સમાવેશની વિરુદ્ધ હતા. કેન્દ્રએ 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 રદ કરી હતી અને અગાઉના રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશો - જમ્મુ અને કાશ્મીર અને લડાખમાં વિભાજિત કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.