મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે રનવે સવારે 1100 કલાકથી 1700 કલાકના બ્લોક દરમિયાન સમારકામ અને મેઈનટેનન્સનાં કામો સફળતાથી પૂર્ણ કરાયાં છે. આ પછી આરડબ્લ્યુવાય 14/ 32 અને 09 / 27 એમ બંને રનવે પરથી ફ્લાઈટની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન સંચાલન કાર્યક્ષમતા સુધારવા અને પ્રવાસીઓને અસુવિધા નહીં થાય તે માટે આ કામ હાથ ધરાય છે.
મુંબઈ એરપોર્ટ દુનિયામાં સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક છે, જ્યાં દિવસના 770 ફ્લાઈટ્સ અવરજવર કરે છે. આથી ચોમાસામાં કોઈ વિઘ્ન નહીં આવે તે માટે રનવેનું બારીકાઈથી નિરીક્ષણ કરાયું હતું, જ્યાં સમારકામ અને જાળવણીની જરૂર હતી ત્યાં તે કામ પૂર્ણ કરાયાં હતાં.પાણી ભરાતી જગ્યાઓને ઓળખીને ત્યાં પાણી નહીં ભરાય તેવી વ્યવસ્થા કરાઈ હતી.
તડ, સાંધાઓની તપાસ કરાઈ હતી, જયાં જરૂર હતી ત્યાં સમારકામ કરાયું હતું. રનવે અને ટેક્સીવે પર આશરે 5000 એરોનોટિકલ ગ્રાઉન્ડ લાઈટ્સ છે, જેનું સર્વિસિંગ કરાયું હતું, જ્યારે 1300 ગ્રાઉન્ડ માર્કિંગ્સ પર નવેસરથી રંગકામ કરાયું છે.બંને રનવે માટે ઈલેક્ટ્રિક કેબલોને અલગ કરવી, રનવે ઈન્ટરસેકશન પર સમારકામ, સિવિલ એન્જિનિયરો દ્વારા જિયોટેક્નિકલ સર્વે, 2000 ગટરોની તપાસ વગેરે કામો હાથ ધરાયાં હતાં, જે કામો એરપોર્ટ બંધ રાખીને જ કરી શકાય એમ હોય છે.
મુંબઈ એરપોર્ટ દ્વારા ચોમાસાની કટોકટીઓ માટે આંતરિક અને બહારી હિસ્સાધારકો સાથે સમન્વય પણ મજબૂત બનાવવામાં આવ્યો છે, જેથી ખરાબ હવામાન હોય ત્યારે તુરંત એકબીજાને પ્રતિસાદ આપીને યોગ્ય પગલાં લઈ શકાય, એમ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.