શિવસેના દ્વારા નેશનલ હાઈવેનાં કામો ચાલતા હોય ત્યાં યંત્રસામગ્રીનો નાશ કરવામાં આવે છે, આગ ચાંપવામાં આવે છે. આને કારણે અધિકારીઓ, કર્મચારીઓ, કામગારોમાં ગભરાટ ફેલાયો છે. તેને લીધે કામો બંધ થઈ રહ્યાં છે. જો આવું જ ચાલતું રહેશે તો મહારાષ્ટ્રના હાઈવેનાં કામો મંજૂર કરવા સંબંધમાં અમારા મંત્રાલયે ગંભીરતાથી વિચાર કરવો પડશે, એવો ઈશારો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લખ્યો છે, જેને લઈને ફરી એક વાર શિવસેના અને ભાજપ વચ્ચે ગજગ્રાહ પેદા થવાની શક્યતા છે.
વાશિમ જિલ્લામાં શિવસેનાના લોકપ્રતિનિધિ અને કાર્યકરો આ રીતે નેશનલ હાઈવેનાં કામોમાં સતત અવરોધ પેદા કરી રહ્યા છે. આને કારણે કામ બંધ પડ્યું છે. આથી અધૂરાં કામને લઈ ત્યાં વાહનો માટે જોખમ છે. દુર્ઘટનાઓ વધી શકે છે અને જનતાના અસંતોષનો સામનો કરવો પડી શકે છે, એમ ગડકરીએ તીખા શબ્દોમાં બે પાનાંના પત્રમાં પરિસ્થિતિ સમજાવી છે.છેલ્લ અનેક દિવસોથી હાઈવેનાં વિકાસકામો રખડી પડ્યાં છે. આ વિશે માહિતી કઢાવતાં શિવસેનાએ કામો અટકાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
અકોલા અને નાંદેડમાં 202 કિલોમીટરમાં હાઈવે ફોર લેન કરવાનું ચામ પેકેજમાં ચાલી રહ્યું છે. જોકે અહીં બાયપાસ અને મુખ્ય રસ્તાનું કામ શિવસેનાના લોકપ્રતિનિધિએ અટકાવી દીધું છે.માલેગાવથી રિસોડ હાઈવેનું કામ એક પુલ સિવાય પૂરું થવા આવ્યું છે. તે પૂરું કરવા માટે ઠેકેદારોને રોકવામાં આવી રહ્યા છે. કાર્યકર ધમકી આપી રહ્યા છે, જેથી ઠેકેદારો કામ બંધ કરવા કહી રહ્યા છે. પુલગાવ- કારંજા- માલેગાવ- મેહકર- સિંદખેડરાજા હાઈવે અત્યંત ખરાબ હાલતમાં છે. અહીં પણ શિવસેનાના કાર્યકરોએ કામ અટકાવ્યું હતું.
યંત્રસામગ્રીને આગ ચાંપી હતી. આથી ઠેકેદારો, અધિકારીઓ, કર્મચારીઓ, કામગારો ભયભીત છે, એમ ગડકરીએ દાખલા સાથે પત્રમાં જણાવ્યું.કોંગ્રેસ ગડકરીને પડખે આવી : દરમિયાન કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું કે હાઈવેનાં કામોમાં કોઈ અવરોધ લાવતું હોય તો અમે ગડકરીની પડખે રહીશું. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ગડકરીએ પત્ર લખ્યો તે દિલ્હીના નેતાના દબાણ હેઠળ તો લખ્યો નથી ને એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, કારણ કે છેલ્લા 25 વર્ષ શિવસેના- ભાજપ જોડે હતા. તે સમયે તેમને કોઈ અડચણ નહોતી.
ઉદ્ધવએ તુરંત તપાસનો આદેશ આપ્યો
દરમિયાન ઠાકરેએ ગડકરીના પત્રની તુરંત નોંધ લેતાં રાજ્યના પોલીસ પ્રમુખને તપાસનો આદેશ આપ્યો છે. લોકપ્રતિનિધિઓ દ્વારા ઠેકેદારોને અપાતી ધમકીઓની અરજી અને તે સંબંધે દાખલ ગુનાની માહિતી તેમણે મગાવી છે. આને કારણે ઠેકેદારો અને અધિકારીઓને ધમકાવીને કામ બંધ કરાવનારા મુશ્કેલીમાં આવી શકે છે. ગૃહવિભાગના ઉપસચિવ સંજય ખેડેકર થકી ઠાકરેનો સંદેશ પોલીસ પ્રમુખને આપવામાં આવ્યો છે.
ઠાકરેએ હસ્તક્ષેપ કરવાનું જરૂરી
જો આવું જ ચાલતું રહ્યું તો હાઈવેનાં કામો મંજૂર કરવા સંબંધે અમારા મંત્રાલયે ગંભીરતાથી વિચાર કરવો પડશે. આ કામો અટકાવી દેવામાં આવશે તો આપણે લોકોની નજરમાં અપરાધી ઠરીશું. જો આવું થાય તો મહારાષ્ટ્રના નાગરિક અને લોકપ્રતિનિધિ તરીકે મારા મનમાં કાયમનો વસવસો રહેશે. આ કામો આગળ લઈ જવા હોય તો તમારો હસ્તક્ષેપ આવશ્યક છે એવું મને લાગે છે. આથી આમાંથી મહેરબાની કરીને રસ્તો કાઢો એવી સમજ પણ તેમણે આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.