એન્ટિલિયા વિસ્ફોટક કેસની માહિતી જાહેર કરી દેશે એવા ડરથી જેની હત્યા કરવામાં આવી તે મનસુખ હિરન પ્રકરણે નેશનલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એનઆઈએ) દ્વારા રવિવારે ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા અને અન્ય આરોપીઓના ડીએનએ નમૂના રવિવારે જમા કરવામાં આવ્યા હતા.
એનઆઈએ પોતે જમા કરેલા પુરાવા અને આરોપીઓનો ડીએનએ ટેસ્ટ કરીને ડીએનએને આધારે તપાસ કરશે.બરતરફ એપીઆઈ સચિન વાઝે અને એક સમયના તેના બોસ પ્રદીપ શર્માના આદેશથી જ મનસુખની હત્યા કરવામાં આવી એવો દાવો ધરપકડ કરાયેલા આરોપી સતીશ અને મનીષ સોનીએ કર્યો હોવાનું એનઆઈએના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું.
આ પછી શર્મા સાથે આ બેની પણ ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએ શર્માના નિકટવર્તી એક પોલીસ અધિકારીની પૂછપરછ કરવા માગે છે.ગુરુવારે ધરપકડ કરવામાં આવેલો શર્મા મનસુખ હત્યા કેસનો સૂત્રધાર માનવામાં આવે છે. તેના અને વાઝેના કહેવાથી ચાર આરોપીઓએ મનસુખને એક કારમાં બેસાડીને પછી તેમાં જ હત્યા કરી નાખી હતી.
આ પછી લાશને થાણે રેતીબંદર ખાતે ખાડીમાં ફેંકી દીધી હતી. ભરતીના સમયે લાશ વહી જશે એવો ઉદ્દેશ સામે રાખીને લાશને ભરતીના સમયે ખાડીમાં ફેંકવામાં આવી હતી. જોકે તેમનો અંદાજ ખોટો પડ્યો હતો. લાશ કિનારે તરીને આવ્યા પછી મનસુખની પત્નીએ વાઝેએ હત્યા કરી હોવાનો દાવો કર્યો હતો, જે પછી તપાસમાં વાઝે અને અન્યોની સંડોવણી બહાર આવી હતી.
શર્મા પર પણ શંકા હતી, પરંતુ પુરાવા મળતા નહોતા, જે મળતાં જ એનઆઈએ દ્વારે તેની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત શર્મા અને વાઝેના ઈશારે હત્યા કરનારા ચાર જણની પણ ધરપકડ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.