એક્સક્લૂઝિવ:ભાવનગરના સોનગઢમાં બની રહી છે ‘બાહુબલી’ની દેશની બીજા નંબરની વિશાળ પ્રતિમા, 41 ફૂટ ઉંચી પ્રતિમા બનશે આકર્ષણનું કેન્દ્ર

સોનગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિશાળ મૂર્તિ માટેનું સ્થાપત્ય કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે
  • આ તીર્થ ધામમાં 76 જિન પ્રતિમાઓના દર્શનનો પણ ધર્મલાભ મળશે

દિગંબર જૈનો માટે શેત્રુંજયની જેમ જ સોનગઢ એ તીર્થોત્તમ માનવામાં આવે છે.પૂ.કાનજી સ્વામી અને બહેન શ્રી ચંપાબહેનની સાધનાભૂમિના આ સ્થળે ભારત દેશના બીજા નંબરની વિશાળ બાહુબલીની મૂર્તિ અને જંબુદ્વીપના નિર્માણનું કાર્ય હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે.

શ્રી કુન્દ કુન્દ કહાન દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલા આ તીર્થ માટે બાહુબલીની પ્રતિમા માટેનો પથ્થર બેંગલુરુના દેવાના હુડલી પાસેના કોઇરામાંથી લાવવામાં આવ્યા છે. બેંગલુરુના હાસન જિલ્લાના શ્રવણ બેલગોડામાં બાહુબલીની સૌથી વિશાળ પ્રતિમા છે.

ભાવનગર જિલ્લામાં દિગંબર જૈનો માટે શ્રેષ્ઠ તીર્થધામ એવુ સોનગઢ છે જ્યા આગામી દિવસોમાં માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશના ટોચની ગણાય તેવી બાહુબલીની મૂર્તિના સ્થાપત્યનું કામકાજ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આ મૂર્તિ વિશાળતા અને ભવ્યતા સાથે કલાત્મકતાનો ત્રિવેણીસંગમ સમાન બની રહેશે. બાહુબલીની આ મૂર્તિ દેશ વિદેશના દિગંબર જૈન શ્રદ્ધાળુઓ ઉપરાંત અન્ય શ્રદ્ધાળુઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

400 ટન ગ્રેનાઈટનો ઉપયોગ થશે...
બાહુબલીની આ વિશાળકાય પ્રતિમા 41 ફૂટ ઉચી હશે અને તેની પહોળાઈ 14 ફૂટની રહેશે. દિગંબર જૈનોના તિર્થ સમાન સોનગઢમાં દેશના બીજા નંબરની વિશાળ આ મૂર્તિનું કાર્ય હાથ થઈ રહ્યું છે. તેના સ્થાપત્યમાં કુલ 400 ટન ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર ડુંગર 41 ફૂટનો રહેશે. અને તેમાં કુલ મળીને 76 જિન પ્રતિમાના દર્શન ભાવિકો કરી શકશે.