વાપી પાલિકા દ્વારા બજાર ફી ઉઘરાવવા અંગે તૈયારી કરી છે, પરંતુ રવિવારી બજાર બંધ થયા બાદ જ બજાર ફી અંગેનો નિર્ણય લેવામાં આવશે એવું પાલિકા સુત્રોએ જણાવ્યું હતું. કારણ કે ટ્રાફિક સમસ્યા હલ કરવા રવિવારી બજાર બંધ કરવામાં આવશે. જો કે વાર-વાર રવિવારી બજાર બંધ કરવાની જાહેરાતો બાદ રવિવારી બજાર ભરાય રહ્યું છે. જેથી પાલિકાનું વલણ સ્પષ્ટ થતું નથી.
વાપી પાલિકા વિસ્તારમાં અગાઉ બજાર ફી ઉઘરાવામાં આવતી હતી. ત્યારબાદ પાલિકાના નામની બોગસ રસીદો સાથે બજાર ફી ઉઘરાણી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને લઇ બજાર ફી ઉઘરાવા અંગે વિવાદ ઊભો થયો હતો.પાલિકાના નવા શાસકોએ બજાર ફી ઉઘરાવવા નવા નિયમોની તૈયારી કરી છે,પરંતુ જયાં સુધી રવિવારી બજાર બંધ ન થાય ત્યાં સુધી બજાર ફીનો નિર્ણય લેવામાં આવશે નહિ.
હાલ બજાર ફી અંગે પાલિકાના પદાધિકારીઓ વિચારણાં કરી રહ્યાં છે. ભુતકાળમાં પણ ટ્રાફિકના મુદે રવિવારી બજાર ન ભરવા દેવા અંગે વાર-વાર દાવાઓ કરવામાં આવ્યા હતાં. પરંતુ ગણતરીના દિવસોમાં પુન: રવિવારી બજાર ચાલુ થઇ જાય છે. પોલીસ અને પાલિકાની ટીમ રવિવારી બજાર કાયમ માટે બંધ કરાવશે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.