વલસાડ જિલ્લામાં કોરોનાના દરરોજ 100થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 189 કેસ સામે આવ્યાં છે. જેથી જિલ્લામાં એક્ટિવ કેસ 984 પર પહોંચી ગયા છે.
જિલ્લામાં આજે કોરોનાના નવા 189 કેસ નોંધાયા છે. જેમાં વલસાડ તાલુકામાંથી 120, વાપી 39, પારડી 15, ઉમરગામ 7, ધરમપુર 6 અને કપરાડા તાલુકામાંથી 2 કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યાં હતા. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવી તમામને ક્વોરન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આજે 39 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જ્યારે વલસાડના તિથલ રોડ ઉપર રહેતા 77 વર્ષીય કોરોના સંક્રમિત વૃદ્ધનું કોરોના સાથે ડાયાબીટીસ સહિત અન્ય બીમારીથી પીડાઈ રહ્યા હતા જેથી તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવ્યા બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. જિલ્લામાં ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે વલસાડ જિલ્લામાં 189 નવા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યાં છે. જેના કારણે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 984 પર પહોંચી ચુક્યો છે.
જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 3 લાખ 78 હજાર 558 સેમ્પલના ટેસ્ટ કરાયા છે, જે પૈકી 3 લાખ 71 હજાર 108 સેમ્પલ નેગેટિવ અને કુલ 7 હજાર 450 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જ્યારે કુલ 5 હજાર 999 દર્દીઓ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ સારવાર મેળવી કોરોનાને માત આપી જિંદગીની જંગ જીતી ચુક્યા છે. જિલ્લામાં 15+ વર્ષની વધુ ઉંમરના 13 લાખ 65 હજાર 963 વ્યક્તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 13 લાખ 24 હજાર 148 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવી ચુક્યા છે.
વલસાડ જિલ્લામાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે વધુ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના આંકને અંકુશમાં લાવવા સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના RT-PCR ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંક્રમિત દર્દીઓના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે.
વલસાડ તાલુકામાં 608 એક્ટિવ, પારડી તાલુકાના 93 એક્ટિવ કેસ, વાપી તાલુકામા 190 એક્ટિવ કેસ, ઉમરગામ તાલુકામાં 63 એક્ટિવ કેસ, ધરમપુર તાલુકામાં એક્ટિવ કેસ 21 અને કપરાડા તાલુકામાં 9 એક્ટિવ કેસ છે. વલસાડ જિલ્લામાં નોંધાયેલા 7 હજાર 450 સંક્રમિત કેસ સામે 5 હજાર 999 કોરોના સંક્રમિત દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ જીતી ચુક્યા હતા. 10 જાન્યુઆરીથી જિલ્લામાં બુસ્ટર ડોઝની શરૂઆત કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં 2 દિવસના કુલ 5,963 લાભાર્થીઓએ બુસ્ટર ડોઝ મુકાવી ચુક્યા છે.
સેલવાસમાં આજે કોરોનાના નવા 12 કેસ નોંધાયા હતા. જેથી 58 એક્ટિવ કેસ થયા છે. જ્યારે દમણમાં 15 નવા કેસ સાથે 58 એક્ટિવ કેસ નોંધાયા હતા અને આજે 39 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે.
વલસાડમાં કોરોના કેસોમાં થઇ રહેલા વધારાના પગલે સંક્રમણ ફેલાતું અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સાબદું થઇ ગયું છે. આગામી દર શનિ અને રવિવારના દિવસોએ વલસાડના સુપ્રસિદ્ધ મંદિરો બંધ રાખવા પ્રાંત અધિકારી અને મંદિરોના સંચાલકો સાથે થયેલી બેઠકમાં વાર્તાલાપ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, સોમથી શુક્રવારના દિવસોમાં દર્શનાર્થીઓ માટે મંદિરો ખુલ્લા રહેશે.
વલસાડ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધતું જતાં ત્રીજી લહેરમાં જ 731 એક્ટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે.જેના કારણે તંત્ર વધુ હરકતમાં આવી ગયું છે.ભીડભાડમાં સંક્રમણ વધી શકે છે તેને ધ્યાને રાખી હવે મંદિરોમાં આવતાં દર્શનાર્થીઓની ભીડના કારણે સંક્રમણ ન ફેલાય તેની કાળજી લેવા માટે હાલ તબક્કે મંદિરો બંધ રાખવા અધિક નિવાસી કલેકટર એન.એ.રાજપૂત સાથે મંદિર સંચાલકો સાથે વાતાર્લાપ થયો હતો. જેમાં સપ્તાહના બે દિવસ શનિ અને રવિવારે ભક્તો રજાના દિવસોના કારણે પરિવારો સાથે મંદિરોમાં દર્શનાર્થે આવે છે. તે હકીકત જોતાં કોરોના સંક્રમણથી બચવા માટે શનિ રવિએ મંદિરો બંધ રાખવામાં આવે તે જરૂરી બન્યું હતું.
વલસાડના મોટા અને પ્રસિદ્ધ મંદિરોમાં શનિ અને રવિવારના દિવસોમાં ભક્તો મંદિરમાં થોડો સમય આવવાનું ટાળે તે અનિવાર્ય બનવા સાથે મંદિરોમાં ભીડભાડને અટકાવવા માટે પ્રાંત અધિકારી નિલેશ કુકડિયા અને મંદિરોના સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી.જેમાં વ્યવસ્થાપક મંડળના સંચાલકો સહમત થતાં વલસાડના મોટા મંદિરો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં જિલ્લામાં સૌથી વધુ કેસો વલસાડ તાલુકામાં આવી રહ્યા હોવાથી તંત્ર દ્વારા મંદિર સંચાલકો સાથે બેઠક યોજીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
વલસાડના આ મોટા મંદિરો બંધ રહેશે
વલસાડ તિથલ સ્થિત સ્વામીનારાયણ મંદિર, પારનેરા ડુંગર ઉપર આવેલા માતાજીના મંદિરો, તડકેશ્વર મહાદેવ મંદિર અને વલસાડના ધમડાચીમાં વૈષ્ણોદેવી માતાજી મંદિર હવે વિક એન્ડમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શનિ રવિમાં દર્શનાર્થીઓ વધુ આવે છે
આ અંગે પારનેરા માતાજી મંદિરના ટ્રસ્ટી પંકજ પટેલે જણાવ્યું હતું કે, વલસાડમાં કોરોના સંક્રમણ વધતુ અટકાવવા માટે પ્રાંત અધિકારી નિલેશ કુકડિયાએ મોટા મંદિરોના વ્યવસ્થાપકો સાથે બેઠક બોલાવી હતી.જેમાં કોરોનાના વધતા કેસો અને હાલની સ્થિતિ અંગે ચર્ચા કરાઇ હતી.જેને લઇ શનિ રવિના દિવસોમાં દર્શનાર્થીઓ વધુ આવતા હોય લોકોની સુરક્ષા માટે દર શનિ રવિ પારનેરા માતાજી મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.સોમથી શુક્ર ચાલૂ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.