ઉતરાયણ પર્વની રાત્રીએ વલસાડના અતુલ હાઇવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહન ચાલકે એક રાહદારીને અડફેટે લીધો હતો. જેથી ગંભીરઈજા પહોંચતા રાહદારીનું મોત થયું હતું. જ્યારે અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.
વલસાડના અતુલ હાઈવે પર ચંદન કુમાર નામનો રાહદારી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. જે દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે રાહદારી ચંદન કુમારને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇ ભાગી છૂટ્યો હતો. હિટ એન્ડ રનની ઘટના થતાની સાથે અતુલ હાઇવે ઉપર આજુબાજુના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યાં હતા. સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે ખસેડવા 108 ની ટીમની મદદ મેળવી હતી.
પોલીસે વાહન ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી
ઘટનાની જાણ વલસાડ રૂલર પોલીસની ટીમને પણ કરી હતી. જેથી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હીટ એન્ડ રનની ઘટનાને લઇ થયેલો ટ્રાફિક જામ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. હીટ એન્ડ રનની ઘટનામાં ઈજાગ્રસ્ત ચંદન કુમારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જેથી રુલર પોલીસે ચંદન કુમારની લાશનો કબજો લઈ લાશનું પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે. હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા ખાનગી તથા સરકારી સીસીટીવી ફૂટેજ મેળવી વલસાડ રૂલર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.