વલસાડ સહિત જિલ્લાના 2500 ખેડૂતોના ખેતરોમાંથી હાઇટેન્શન લાઇન પસાર કરવાના પાવરગ્રીડ પ્રોજેક્ટમાં જમીનના ભાવો ઓછાં આપવાની હિલચાલ સામે ખેડૂતોએ જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ વિરોધ દર્શાવ્યો છે.
રાજ્ય સરકારના પાવરગ્રીડ પ્રોજેક્ટ હેઠળ વીજ કંપની દ્વારા જિલ્લામાં હાઇટેન્શન લાઇન નાંખવા જમીન સંપાદન કરવા માટેન કાર્યવાહી હાથ ધરાઇ રહી છે.વલસાડ જિલ્લાના 2500 જેટલા ખેડૂતોની જમીન અને ખેતરોમાંથી આ લાઇન પસાર થનાર છે.જે માટે જમીન સંપાદન થઇ રહી છે ત્યારે ખેડૂતોને ઓછાં ભાવો મળવાની ભીતિ સતાવી રહી છે.
એક્સપ્રેસ હાઇવે અને બુલેટ ટ્રેન માટે સંપાદિત થયેલી જમીનના જે ભાવો આપ્યા હતા તે મુજબ ઊંચા ભાવો આ ખેડૂતોને પણ મળે તેવી માગ સાથે ખેડૂતોએ વલસાડમાં વિરોધ સાથે વિવિધ મુદ્દે રજૂઆતો કરી હતી.કલેકટર કચેરીએ મોરચો લાવી ખેડૂતોએ કલેકટરને આવેદન પાઠવી રજૂઆતો કરી હતી.
સંપાદન કરો, નહી તો કાયમી ભાડૂ આપો
વલસાડ જિલ્લા ખેડૂત સમાજે રજૂઆતો કરતા જણાવ્યું કે,નવસારીથી દમણ 400 કેવી લાઇન (46 મીટર-150 ફુટ પહોળી) અ્ને 765 કેવી નવસારી મુંબઇ લાઇન 67 મીટર-220 ફુટ પહોળી) જમીન વિસ્તારમાં વૃક્ષો ઉગાડવા કે બાંધકામ નહિ કરવા માટે સૂચના આપી પ્રતિબંધ કર્યો છે.
જેને લઇ ખેતી થઇ શકશે નહિ અને હાઇટેન્શન લાઇનના કારણે ડ્રોનથી જંતુનાશક દવાનો છંટકાવ પણ થઇ શકશે નહિ.પાવરગ્રીડ વીજકંપની નફો કરતી લિસ્ટેડ કંપની છે.આ પ્રોજેક્ટથી જમીન કાયમી નકામી થશે એટલે પૂરી જમીન સંપાદન કરો અથવા જેમ ટેલિકોમ કંપનીઓ ટાવરો ઉભા કરી ખેડૂતોને કાયમ માટે જમીનનું ભાડૂં આપે તેવી માગ કરાઇ છે.અગાઉ જમીન વળતરના મુદ્દે ભારતીય કિસાન સંઘ પણ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.