વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે વ્યાજખોરી કરતા એક ઈસમ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાણાં ધિરાણ લાયસન્સ વગર લોકો પાસે ઊંચું વ્યાજ વસુલાત કરતા અને પઠાણી ઉઘરાણી કરતા ઈસમ સામે ઉમરગામ પોલીસ મથકે FIR નોંધવામાં આવી હતી. ઉમરગામમાં વેપારીએ વ્યાજે લીધેલા 2 લાખ સામે 25 મહિનામાં 5 લાખ રૂપિયા વ્યાજના ચૂકવ્યા હતા છતાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણી ચાલુ રહી હતી, જેથી અંતે ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
રાજ્ય સરકારે ગેરકાયદેસર ચાલતી વ્યાજખોરી અટકાવવા માટે ડ્રાઇવ શરૂ કરી હતી. જે અંતર્ગત ઉમરગામ પંથકમાં રહેતા મોરમુકુટ યાદવે જાન્યુઆરી 2020માં બે લાખ રૂપિયા પ્રશાંત રાકેશ મિશ્રા પાસેથી 20 ટકા જેટલા ઊંચા વ્યાજે લીધા હતા. મોર મુકુટ યાદવે પોતાના ધંધા માટે પ્રશાંત પાસેથી વ્યાજના રૂપિયા લીધા હતા. બાર મહિને 20,000 લેખે 25 મહિના સુધી વ્યાજની ચુકવણી કરી કુલ પાંચ લાખ રૂપિયા પ્રશાંત મિશ્રાને વ્યાજ પેઠે ચૂકવી દીધા હતા. ફેબ્રુઆરી 2022 માં મોરમુકુટ યાદવના ધંધામાં મંદિર આવતા વ્યાજની ચુકવણી કરવાનું બંધ કર્યું હતું જે બાદ પ્રશાંત મિશ્રાએ મોરમુકુટ યાદવ પાસે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. જેનાથી કંટાળી આજરોજ મોરમુકુટ યાદવે ઉમરગામ પોલીસ મથકે ગેરકાયદેસર વ્યાજની ઉઘરાણી કરનાર પ્રશાંત મિશ્રા વિરોધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉમરગામ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.