કપરાડા તાલુકાના ગીરનારા ખાતે એક આદિવાસી શ્રમજીવી પરિવારનું મકાન સરકારી જમીનમાં દબાણ કરાયું હોવાનુ જણાવી સર્કલ દ્વારા તોડી પાડવાની ઘટના હજુ સમી નથી રહ્યા. સોમવારે વાંસદા ધારાસભ્ય અનંત પટેલ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને યુવા આગેવાન વસંત પટેલની ઉપસ્થિતિમાં એક વિશાળ રેલી નિકળી હતી. મામલતદારને આવેદનપત્ર પાઠવી સર્કલ ઓફીસર અને તલાટી સામે હોદ્દાના દૂર ઉપયોગ બદલ હોદ્દા ઉપરથી દૂર કરવા માગ કરી હતી. વાંસદના ધારાસભ્ય અનંત પટેલે સર્કલ ઓફિસરે ઉપરવટ જઇને કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગીરનારાના ઘર માલિક રાઉત લક્ષ્મણ ભાઈ કાકડભાઈને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર ઘર માલિકની ગેરહાજરીમાં માત્ર બે બાળકોની ઉપસ્થિતિમાં કપરાડાના સર્કલ ઓફિસર અને ટીમ દ્વારા ઘરનું ડીમોલિશન કરતા પરિવાર ઘર વિહોણું બન્યું છે. અનાજ,ડોક્યુમેન્ટ,પુરાવાઓ વેર વિખેર કરી નાખ્યાં છે.
જેથી જે પરિસ્થિતિમાં અગાઉ ઘર હતું તેવું બનાવી દેવામાં આવે,ઘર વખરી ના નુકશાન પેટે રૂ .10 લાખની ચુકવણી કરવામાં આવે,રેવન્યુ સર્કલ અધિકારી તથા તલાટી એ કાયદાનું ઉલ્લઘન બદલ હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે નહિ તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આ મુદ્દે અગાઉ પણ અનેક રાજકીય નેતાઓ મુલાકાત લઈ ચૂક્યા છે.
ધરમપુર પ્રાંતે તપાસનો આદેશ કર્યો
કપરાડાના ગિરનારામાં આદિવાસી પરિવારનું મકાન તોડી પાડવાનો મામલો બિચક્યો છે. ધરમપુર પ્રાંત અધિકારીએ આ મામલે તપાસનો ઓર્ડર કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.