ઉમરગામના કલગામ ખાતે શનિવારે સવારે 10.30 કલાકે 72મા રાજ્યકક્ષાના વન મહોત્સવનો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે. કલગામ ખાતે વન વિભાગ દ્વારા નવનિર્મિત મારૂતિનંદન વન 21મા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે.રાજ્યકક્ષાના વન મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વનીકરણ થકી લોક જાગૃતિ માટે અમૂલ્ય ફાળો આપનારી રાજ્યની 38 બિન સરકારી સંસ્થાને પ્રશસ્તિપત્ર એનાયત થશે. સ્વપ્રયત્નો થકી વનીકરણ દ્વારા લોક જાગૃતિ લાવનારા ત્રણ વ્યક્તિઓને વન પંડિત પુરસ્કારથી સત્કાર કરાશે.
રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં 3 ગ્રામ પંચાયત અને 3 તાલુકા પંચાયતને વૃક્ષો દ્વારા મળેલી આવક 1.91 કરોડનો ચેક આપવામાં આવશે. કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપણસિંહ વસાવા તેમજ વન - આદિજાતિ વિકાસ ના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકર ઉપસ્થિત રહેશે. કલગામમાં હનુમાનજીના મંદિરની નજીક છે, જેથી આ વન હનુમાનજીને સમર્પિત કરાયું છે. આ મંદિર પૌરાણિક હોવાથી શ્રાવણ માસમાં હજારો શ્રધ્ધાળુઓ મુલાકાત લે છે. આ વનમાં અત્યાર સુધીમાં 51 હજાર રોપાઓનું વાવેતર કરાયું છે અને પૂર્ણ થયેથી આ વનમાં 1 લાખથી વધુ રોપાઓનું ઉછેર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.