સમીર જાની :
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના (BAPS) મહાન સંત પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણીની ઘડીઓ ચાલી રહી છે. અમદાવાદ ખાતે 15 ડિસેમ્બરથી 15 જાન્યુ. સુધી શતાબ્દી મહોતસવની ઉજવણી થઇ રહી છે. ત્યારે દિવ્ય ભાસ્કરે મહાપુરૂષ પ્રમુખસ્વામીના જન્મસ્થળ ચાણસદની મુલાકાત લીધી હતી. જન્મશતાબ્દી મહોત્સવની ઉજવણીનો થનગનાટ ચાણસદની રજેરજમાં નજરે પડતો હતો. આવો તો પુ. સ્વામીજીના જન્મસ્થાનમાં શતાબ્દી મહોત્સવને લઇ કેવો માહોલ છે તે વિગતે જોઇએ.
વડોદરાથી પાદરા થઇને વાયા દરાપુર અમે ચાણસદ પહોંચ્યા. આમ તો ગામમાં પહોંચ્યા ત્યાર ગામ બહાર ભવ્ય પ્રવેશ દ્વાર હતો. ગામને પ્રાથમિક નજરે જોતા તમને અણસાર ન આવે કે આ ગામ પુ. પ્રમુખ સ્વામી મહારાજનું જન્મ સ્થળ છે. અમારી મુલાકાત ત્યાનું સંચાલન કરતાં તુષારભાઇ પટેલ સાથે થઇ હતી.
તેમની સાથે વાતચીત કરતાં તેમને જણાવ્યુ હતું કે, નારાયણ સરોવરનું બ્યૂટીફિકેશન કરીને તાજેતરમાં જ તેમના જન્મ દિવસે વિવેક સાગર સ્વામીએ ખુલ્લુ મુક્યુ હતું અને આરતી કરી હતી. જયા આજે પણ રોજ સાંજના સમયે મહાઆરતી થાય છે. આ નારાયણ સરોવરની વિશેષતા એ છે કે, પ્રમુખ સ્વામી મહારાજ 18 વર્ષ સુધી ગામમાં રહ્યાં હતાં. એટલે આ સરોવરમાં 18 ઘુમટીઓ બનાવવામાં આવી છે.
જેમાં આગામી દિવસોમાં તેમાં સ્વામીજીની ગામ સાથેના 18 પ્રસંગો રજૂ કરવામાં આવશે. હાલમાં જ જન્મ શતાબ્દી મહોત્સવના પગલે વિદેશથી આવનારા પ્રવાસીઓમાં પણ 50 હજારથી વધુએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. ગામની રજેરજ પ્રમુખ સ્વામીની યાદો સાથે જોડાયેલી છે. પરંતુ ચાણસદ આજે પણ એ જ જુની ઢબનું ગામ છે.
70 યુવાનો શતાબ્દી મહોત્સવના પ્રચારાર્થે મશાલ લઇ નીકળ્યાં
પુ. પ્રમુખ સ્વામીની હાલમાં શતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેનું 14મીએ વડાપ્રધાનના હસ્તે ઉદ્દઘાટન થવાનું છે. ત્યારે પુ.પ્રમુખ સ્વામીના જન્મસ્થળ ચાણસદના 70 યુવાનો તા. 10મી ડિસેમ્બરે શતાબ્દી મહોત્સવના પ્રચારાર્થે મશાલ લઇને નીકળ્યાં છે. બે બે યુવાનોની જોડીમાં મશાલ લઇને દોડતા જતાં 70 યુવાનો તા. 13મીએ અમદાવાદ ખાતે પહોંચશે. અને 14મીએ વડાપ્રધાનના આગમન વખતે તેમના સ્વાગત માટે ઉભા રહશે.
ચાણસદથી15 બસ 18 અને 19મી તારીખે જશે
અમદાવાદ ખાતે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ઉજવાઇ રહેલા પુ. પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનો ચાણસદના ગ્રામજનોનમાં પણ અભુતપુર્વ ઉત્સાહ જણાઇ રહયો છે. આગામી તા. 18 અને 19 તારીખે ચાણસદના ગ્રામજનોની 15થી વધુ બસો અમદાવાદ પહોંચશે અને પુ. સ્વામીજીની શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં જોડાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.