18 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવનાર છે જેમાં રોડ શો અને સભાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં વધુ લોકો જોડાય તે માટે મેયર કેયુર રોકડિયાઅે કાઉન્સિલરોની બેઠક બોલાવી હતી. જેમાં 5 કાઉન્સિલરે પાણી-ડ્રેનેજ સહિતનાં કામો ન થતાં લોકો વચ્ચે કેવી રીતે જવું તેમ કહી મેયર સામે બળાપો ઠાલવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને શહેરમાં સભા સંબોધશે. ત્યારે 5 લાખ લોકો ભેગાં કરવા મેયર કેયુર રોકડિયાએ વિધાનસભા વાઇઝ કાઉન્સિલરોની બેઠક બોલાવી હતી. જેમાં વોર્ડ વાઇઝ 7 હજાર અને બૂથ વાઇઝ 100 લોકો લાવવા ટાર્ગેટ અપાયો હતો. જોકે પાણી, ડ્રેનેજ સહિતનાં કામ થતાં ન હોવાથી લોકો વચ્ચે કેવી રીતે જઈએ તેમ કહી કાઉન્સિલરોએ અધિકારીઓ કામ કરતા ન હોવાના આક્ષેપ સાથે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
વોર્ડ 16માં પાણી મુદ્દે સર્જાયેલા કકળાટ અંગે કાઉન્સિલરો રજૂઆત કરી હતી. વોર્ડ 7ના મહિલા કાઉન્સિલરે ડ્રેનેજ-પથ્થર પેવિંગના ઇજારા અને અધૂરા કામ મુદ્દે રજૂઆત કરી હતી. જ્યારે ભાજપના નેતા અને સિનિયર કાઉન્સિલર વચ્ચે તૂતૂમૈંમૈં થઈ હતી. કાઉન્સિલરે કહ્યું કે, કામ થતાં નથી લોકો વચ્ચે કેવી રીતે જઈએ? જેના જવાબમાં ભાજપના નેતાએ હમણાં સમસ્યાની રજૂઆત બાજુ પર મૂકી પીએમના કાર્યક્રમ વિશે વાત કરો તેમ કહેતાં કાઉન્સિલર ઉશ્કેરાયા હતા. તેઓએ નેતાને ઊંચા અવાજે વાત ન કરવા જણાવતાં બોલાચાલી થઈ હતી. આખરે મેયરે બંનેને શાંત પાડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.