સિટી રિપોર્ટર | વડોદરા | નવરચના યુનિવર્સિટીએ શનિવારે યોજાયેલ 10માં દીક્ષાંત સમારોહમાં સ્નાતક, અનુસ્નાતક અને PhDના વિવિધ પ્રવાહોના 676 વિધાર્થીઓને ડિગ્રી એનાયત કરી હતી. સમારોહમાં 19 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપ્યા હતા, જેમાં 11 વિદ્યાર્થિની છે. મહાનુભાવોના હસ્તે ૧૦ વિદ્યાર્થીઓને ડોક્ટરલની પદવી એનાયત કરવામાં આવી હતી.
કોન્વોકેશનમાં મુખ્ય અતિથિ તરીકે લેફ્ટનન્ટ કર્નલ વિજય નાયર ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે વિદ્યાર્થીઓને ધગશને અનુસરવા, નવું શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરવા, તેમના જ્ઞાનમાં વધારો કરવા અને તેમની પ્રગતિમાં નિષ્ફળતાનો સામનો કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘તમે ભાગ્યશાળી પેઢી છો. હું તમારી ઉંમરનો હતો તેના કરતા આજે તમારી પાસે આગળ વધવા ઘણી મોટી તકો અને કઠીન પડકારો છે. તે તકો અને પડકારોનો અર્થ એ છે કે તમારા પૈકીના દરેક માટે નોકરી છે, તેથી તેને શોધો અને તમારી ધગશનો પીછો કરો, અને તમને સમજાશે કે ઉત્કૃષ્ટતા જ તમને આપોઆપ આગળ વધારશે.’ સ્નાતક થયેલા 676માંથી 170 વિદ્યાર્થીએ ઇજનેરીમાં, 174એ બિઝનેસ અને મેનેજમેન્ટ સ્ટડીઝમાં, 103એ સાયન્સમાં, 72એ આર્કિટેક્ચર અને ઇન્ટીનીયર ડિઝાઇનમાં, 54ને કમ્પ્યુટર એપ્લિકેશન અને ડેટા સાયન્સમાં, 47એ એજ્યુકેશનમાં, 21એ જર્નાલિઝમમાં, 16એ સોશિયલ વર્કમાં, લોમાં 9એ ડિગ્રી પ્રાપ્ત કરી છે. પ્રોવોસ્ટ પ્રો. પ્રત્યુષ શંકરે જણાવ્યું કે, ઉદ્યોગ અને સમાજના જટિલ પડકારોને વિવિધ વિદ્યાશાખાઓના એકસાથે આવવા અને વિવિધ હિસ્સેદારો વચ્ચેના સહયોગ દ્વારા શ્રેષ્ઠ રીતે ઉકેલી શકાશે. નવરચના યુનિવર્સિટીએ સરળ અને વ્યાપક પ્રભાવ આધારિત માળખું અમલમાં મૂક્યું છે. નવરચનાના ચેરપર્સન તેજલ અમીન અને બોર્ડના સભ્યોએ સ્નાતક વિદ્યાર્થિઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.