મ.સ.યુનિવર્સિટીમાં એકેડેમિક રિવ્યુ કમિટી બનાવાશે. અધ્યાપકો ફેકલ્ટીમાં પૂરતો સમય આપે છે કે નહિ તેનું પણ મોનિટરિંગ થશે. વિવિધ ફેકલ્ટીઓમાં જે રિસર્ચ અને કોર્સીસ શરૂ થયા હોય તો તે બંધ ન થાય તેનું ધ્યાન પણ રખાશે. અધ્યાપકો યુજીસીના નિયમ પ્રમાણે 40 કલાક કામ કરે છે કે નહિ તેનું પણ મોનિટરિંગ કરવાનું શરૂ કરાશે. સિન્ડિકેટની બેઠકમાં એકેડેમિક રિવ્યુ કમિટી બનાવવા નિર્ણય લેવાયો છે. જેનો હેતુ કર્મીઓમાં ડિસિપ્લિન કેળવવાનો છે. ખાસ કરીને અધ્યાપકો દ્વારા પૂરતો સમય અપાય છે કે નહિ તેનું ધ્યાન પણ રખાશે.
એક સિન્ડિકેટ સભ્યે જણાવ્યું કે, ખાનગી યુનિવર્સિટીમાં વીસી બાયોમેટ્રિકમાં હાજરી પૂરે છે. જરૂર જણાશે તો ભવિષ્યમાં મ.સ.યુનિવર્સિટીમાં પણ બાયોમેટ્રિક સિસ્ટમ લગાવાશે. ઉપરાંત કમિટી વિવિધ ડિપાર્ટમેન્ટમાં ચાલતા રિસર્ચ પ્રોજેક્ટ પર ધ્યાન આપશે. તેમજ ફેકલ્ટી દ્વારા કોઇ કોર્સ શરૂ કરાય તો તે બંધ ન થાય તેની તકેદારી પણ રાખશે.
બુટાના જનરલ સેક્રેટરી નિકુલ પટેલે કહ્યું કે, અધ્યાપકો પૂરતા લેક્ચર લે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે ઘણીવાર ઘરેથી કામ કરે છે. બેઝીક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માગ કરાઈ છે તેનો ઉકેલ લાવવો જોઇએ. જ્યારે સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાએ કહ્યું કે, અધ્યાપક પૂરતો સમય આપે છે કે નહિ તેનું મોનિટરિંગ જરૂરી છે. રિસર્ચનું કામ ઘરની જગ્યાએ ફેકલ્ટીમાંથી કરી જ શકાય તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.