શહેરમાં 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ તેમજ ફ્રન્ટલાઇન વર્કરને સોમવાર ને 10 તારીખથી રસીનો ત્રીજો ડોઝ મૂકવાનું શરૂ કરવામાં આવશે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરને સેશન ક્રિએટ કરવા માટે જણાવ્યું છે. જોકે રાજ્ય સરકાર દ્વારા કોવિન પોર્ટલ પર સેશન માટેનું ઓપ્શન જણાતું ન હોવાને પગલે આરોગ્ય વિભાગના તબીબો મૂંઝવણમાં મુકાયા હતા.
બીજી તરફ આરોગ્ય અમલદાર દેવેશ પટેલ દ્વારા જણાવ્યા મુજબ શહેરમાં અંદાજે 45 હજાર જેટલા લોકોને 9 મહિના પૂરા થયા હોવાનું જણાય છે. જેથી તેઓને આવતીકાલથી રસી મૂકવામાં આવશે. જ્યારે સીડીએચઓ જૈન દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં 30 હજાર લોકોને બુસ્ટર ડોઝ મૂકાશે.
શહેરમાં બાળકોના ચાલી રહેલા રસીકરણમાં રવિવારે સવારે માત્ર 418 બાળકોને રસી મૂકવામાં આવી હતી, જ્યારે સાંજે 4 થી 7 કલાક દરમિયાન જે સ્કૂલોમાં બાળકો આવવા તૈયાર હોય ત્યાં રસીકરણ યોજવા આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી હતી.
હજુ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મેગા કેમ્પનું આયોજન થયું નથી તેમજ ઘેર ઘેર જઈને બાળકોને રસીકરણ કરવામાં આવતું નથી, જેથી 100 ટકા લક્ષ્ય હાંસલ કરવામાં ઘણો સમય લાગશે તેમ જણાય છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અર્બન હેલ્થ સેન્ટરને 1 હજાર જેટલા ડોઝ ફાળવ્યા છે. કોવેક્સિન અને કોવિશીલ્ડના બંને ડોઝ પૂરતા પ્રમાણમાં હોવાથી બુસ્ટર ડોઝની કામગીરી ઝડપથી થવાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.