શહેરમાં શનિવારે મોડી રાતથી જ પૂર્વની દિશાથી ફુંકાઈ રહેલા 13થી 15 કિમીના ઝડપી પવનોને કારણે ગરમીનો પારો 3 ડિગ્રી જેટલો ઘટીને 35 ડિગ્રી નોંધાયો હતો. રવિવારે સવારે 13 કિમીની ઝડપે પવનો ફુંકાતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. માવઠાની આગાહી દરમિયાન મોડી સાંજે શહેરના ફતેગંજ, ચાર દરવાજા વિસ્તાર, સયાજીગંજ, માંજલપુર સહિત વિસ્તારોમાં હળવા ઝાંપટાથી માંડીને વરસાદી છાંટા પડ્યાં હતાં. જેનાથી ઠંડક પ્રસરી હતી. જોકે બફારાનું પ્રમાણ જળવાઈ રહ્યું હતું.
હવામાન વિભાગના અધિકારીઓના મુજબ હજુ 24 કલાક શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાંપટા પડવાની સંભાવના છે. રવિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહયું હતું. જે સોમવાર અને મંગળવાર સુધી યથાવત રહે તેવી સંભાવના છે. જ્યારે આગામી દિવસોમાં વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નહી થવાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે.
ફોરકાસ્ટ મુજબ શહેરમાં 5 માર્ચે મહત્તમ તાપમાનનો પારો 35.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 21.6 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 56 ટકા અને સાંજે 30 ટકા નોંધાયું હતું. જ્યારે પૂર્વની દિશાથી 13 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતાં.
6 માર્ચ સુધી વાતાવરણ આવું રહેશે
વાતાવરણમાં અપર લેવલ ટ્રફ અરબ સાગર સુધી ફેલાયો છે. આ ટ્રફ અરબ સાગરથી ભેજ ખેંચે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સંકળાયેલા સર્ક્યુલેશનને લીધે વાતાવરણમાં પલટો છે. 6 માર્ચે વરસાદી ઝાંપટા પડી શકે છે. > અંકિત પટેલ,વેધર એક્ષપર્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.