શહેરમાં ગંદા પાણીની સમસ્યા વર્ષો જૂની છે. જેનો ઉકેલ લાવવામાં તંત્ર વામણું સાબિત થઈ રહ્યું છે. નવાપુરા અને તેની આસપાસના 12 વિસ્તારોમાં રહેતા 7 હજારથી વધુ લોકોને 6 મહિનાથી કાળું પાણી આવતું હોવાથી પરેશાની થઈ રહી છે.
નવાપુરા અને તેની આસપાસના વિસ્તારમાં 6 મહિનાથી કાળા રંગનું પાણી આવી રહ્યું છે. આ અંગે અનેકવાર મેયર, સ્થાયી ચેરમેન તેમજ પાણી પુરવઠાના અધિકારીઓને રજૂઆત કરવા છતાં નિરાકરણ આવ્યું નથી. નવાપુરાના રબારીવાસ, ગોદડિયાવાસ, ભાથીજી મહોલ્લો, મરાઠી મહોલ્લો, હિંમત ભવનની ચાલ, કેવડાબાગ સામેના ભાગ, મહર્ષિ અરવિંદ કોલોની, ચૈતન્ય એપાર્ટમેન્ટ તેમજ જવાહર સોસાયટીમાં લોકો પરેશાની ભોગવી રહ્યા છે. અધિકારીઓ ખાડા ખોદે છે, પરંતુ તેઓને અનુભવના અભાવે લાઈનો મળતી નથી, લાઈન મળે છે તો ફોલ્ટ મળતા નથી.
નવો સ્ટાફ વિસ્તારથી અજાણ
વોર્ડના અનેક વિસ્તારોમાં ગંદું પાણી આવે છે. ફોલ્ટ શોધવા ખાડા ખોદાય છે, પણ સ્ટાફ નવો હોવાથી ભૌગોલિક વિસ્તારની જાણ નથી. જેથી ખાડા ખોદ્યા બાદ ફોલ્ટ મળતા નથી. > જાગૃતિ કાકા, કાઉન્સિલર, વોર્ડ 13
ફીલ્ડમાં અધિકારીઓ હોવા જોઈએ
ગંદા પાણી અંગે રજૂઆત કરી છે,પણ પ્રોબ્લેમ સોલ્વ થયા બાદ પ્રોબ્લેમ નીકળે છે. ફીલ્ડમાં સિનિયર અધિકારી હોય તો ભૌગોલિક સ્થિતિનો ખ્યાલ રહે, સમસ્યા ઉકલે. > જ્યોતિબેન પટેલ, કાઉન્સિલર, વોર્ડ 13
લાઇન જૂની, એટલે ફોલ્ટ થાય
નવાપુરામાં વર્ષો જૂની લાઈનો છે. 25માંથી 5 લાઈન ફોલ્ટી હોવાનું અનુમાન છે. વોર્ડ લેવલે ઇજનેર ચેકિંગ કરે છે.> અમૃત મકવાણા, કાર્યપાલક ઈજનેર, પાણી પુરવઠા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.