નિત્ય લીલામાં પ્રવેશ કર્યા બાદ કાંકરોલી નરેશ વ્રજેશકુમાર મહારાજજીને ભાવાંજલિ પ્રગટ કરવા માટે 2 માર્ચના રોજ 5 હજારથી વધુ વૈષ્ણવો કેવડાબાગ બેઠક મંદિરે સાંજે 5 થી 7 કલાક દરમિયાન પહોંચ્યા હતા. જ્યાં મહારાજજી પાસેથી બ્રહ્મ સંબંધની દીક્ષા મેળવનારા વૈષ્ણવોએ પુષ્પ અર્પણ કરી અને દંડવત કરીને ભાવાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનિય છે કે, ગોસ્વામી વ્રજેશકુમાર મહારાજજીએ વડોદરા સહિત ગુજરાત, રાજસ્થાન તેમજ દેશ-વિદેશમાં 1 લાખ જેટલા વૈષ્ણવોને બ્રહ્મ સંબંધની દીક્ષા આપી છે. કાંકરોલી સ્થિત વિઠ્ઠલેશબાગમાં 3 માર્ચના રોજ સાંજે 4 થી 6માં સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
બેઠક મંદિરમાં ગુરુવારના રોજ સાંજે 5 થી 7 કલાક દરમિયાન રાખવામાં આવેલા ભાવાંજલિમાં વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, અમદાવાદ, ડીસા, નડિયાદ, આણંદ સહિત ગુજરાત, રાજસ્થાનમાંથી વૈષ્ણવો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આ ઉપરાંત શહેરમાં મુખ્ય માર્ગો અને ચાર રસ્તા પર ગોસ્વામી વ્રજેશકુમાર મહારાજજીને શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ આપતાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યાં છે.
સોશિયલ મીડિયામાં પણ વૈષ્ણવો દ્વારા સતત શ્રદ્ધાંજલિ અર્પી રહ્યાં છે. ભાવાંજલિ અર્પણ કરતાં વૈષ્ણવ રાજુ શાહે મહારાજશ્રી સાથેની સ્મૃતિ વર્ણવતાં જણાવ્યું હતું કે, મારી દીકરી શ્રેયા આશય પરીખ કેનેડામાં રહે છે. કોરોનાના કપરા કાળમાં દીકરીની શ્રીમંતની વિધિ કરવાની હતી. ત્યારે સરકાર શ્રી વ્રજેશકુમાર મહારાજ અને અમ્માજીએ ઓનલાઈન અઢીથી ત્રણ કલાક મંત્રોચ્ચાર કરી શ્રીમંતની વિધિ કરાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.