સ્ટેટ બેંકની લાલબાગ શાખાના લોકરમાંથી ભાજપ બક્ષીપંચ મોરચાના શહેર અધ્યક્ષ ભરત સ્વામીના 50 તોલાના દાગીના ગાયબ થવાની ઘટના બની હતી. જેથી મકરપુરા પોલીસ ગુરુવારે બેંકમાં તપાસ અર્થે પહોંચી હતી. જ્યારે અમારા દાગીના તો ગાયબ નથી થયાં ને તેવી બીકે અન્ય ગ્રાહકો પણ પોતાના લોકર ચેક કરવા બેંકમાં પહોંચ્યા હતાં. જ્યારે પોલીસે મેનેજર સહિતના 4ની પૂછપરછ કરી હતી અને બેંકના લોકર કેવી રીતે ઓપરેટ થાય છે તેની સંપૂર્ણ પ્રક્રિયા સમજી હતી. જ્યારે બેંક શુક્રવારે પોલીસને સીસીટીવી ફૂટેજ સોંપશે. ત્યાર પછી પોલીસ દાગીના ગાયબ કેવી રીતે થયા તેના ચોક્કસ તારણ પર આવશે.
મકરપુરા પોલીસ મથકમાં બુધવારના રોજ ભરત સ્વામીએ અરજી આપી હતી. જેમાં તેમણે 7 ડિસેમ્બરે લોકરમાં દાગીના મૂક્યા બાદ 15 ફેબ્રુઆરીએ દાગીના લેવા પહોંચ્યા હતા. જોકે થેલીમાં રહેલા પાઉચમાંથી 50 તોલાના દાગીના ગાયબ થયાનું જાણવા મળ્યું હતું. જેથી ભરત સ્વામીએ બેંક મેનેજરને ફરિયાદ કરતાં મેનેજરે હાથ ઊંચા કરી દીધા હતા. ત્યારબાદ તેમણે પોલીસમાં અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હાલ આ કેસમાં તપાસ કરી રહી છે.
મકરપુરા પોલીસે જણાવ્યું કે, તેઓ ગુરુવારે લાલબાગ SBI બ્રાંચમાં લોકરની તપાસ અર્થે પહોંચતાં ત્યાં પહેલેથી લોકો પોતાના લોકર ચેક કરવા પહોંચ્યા હતા. ઘણા લોકોએ અમારા દાગીના તો સહી સલામત છે ને, ગાયબ તો નથી થયા ને તે ચેક કર્યું હતું. દિવસ દરમિયાન અનેક લોકોએ લોકર ખોલી બેેંકમાં જ પોતાના લિસ્ટ મુજબ લોકરના દાગીના પણ ચેક કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.