વડોદરાના વારસિયા વિસ્તારમાં એક વિધવા મહિલા પોતાનું મકાન વેચી નવું મકાન મળે ત્યાં સુધી થોડા દિવસ માટે રહેવા દેવાની વિનંતી કરી હતી. મકાન લાંબા સમય બાદ પણ ખાલી ન કરતા તેની સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
2019માં મકાનનો દસ્તાવેજ થયેલો
ફરિયાદ અનુસાર શહેરના કારેલીબાગ વીઆઇપી રોડ પર આવેલ મહાવીર સોસાયટીમાં પારૂલબેન કલ્પેશભાઇ પટેલ નામના ગૃહિણી રહે છે અને તેઓના પતિ કંસ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા છે. પારુલબેને વિજયનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ના બ્લોક નંબર A-01નું મકાન રૂપલ ઉશેષ કુમાર શાસ્ત્રી પાસેથી જુલાઇ 2018માં બાનાખત કરી જાન્યુઆરી 2019માં રજીસ્ટર્ડ દસ્તાવેજથી ખરીદ્યુ હતું. તેમજ આ મિલકતના માલિક તરીકે પણ તેમનુ નામ મિલકત કાર્ડમાં દાખલ થયું હતું.
મકાન ખાલી નહોતા કરતાં
આ દરમિયાન રુપલ શાસ્ત્રીએ મકાન ખરીદનાર પારુલબેનને જણાવ્યું હતું કે, તેઓને વડોદરા શહેરમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ભાયલી ખાતે આવેલ યોજનામાં મકાન ફાળવવામાં આવ્યું છે અને તે મકાનનો કબજો ટૂંક સમયમાં મળવાનો છે. જેથી અમને થોડો સમય મકાનમાં રહેવા દો, હું વિધવા સ્ત્રી છું અને મારે બે સગીર બાળકો છે. જો કે ત્યાર બાદ છ મહિના વીતી જતાં તેમજ વારંવાર વિનંતી કરવા છતાં રુપલબેને મકાન ખાલી કર્યું ન હતું. જેથી પારુલબેને વડોદરા કલેક્ટરને આ અંગે અરજી કરી હતી અને તેને આધારે વારસિયા પોલીસ સ્ટેશનમાં રુપલબેન સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.