ઉત્સવપ્રિય વડોદરાના નગરીના નગરજનો દ્વારા સુસવાટા મારતા ઠંડા પવન અને એ કાપ્યો છે.... લપેટ...ની ચિચિયારીઓ સાથે ઉત્સાહભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉત્તરાયણના દિવસે પવને જરૂરી સાથ આપતા પતંગ રસીયાઓનો ઉત્સાહ બેવડાયો હતો. સવારે મંદિરોમાં દાન કરવા માટે શ્રધ્ધાળુઓનો ભારે ધસારો રહ્યો હતો. દિવસ દરમિયાન વાદળછાયો માહોલ રહેતા શહેરમાં હિલ સ્ટેશન જેવો માહોલ રહ્યો હતો. સવારથી ટેરેસો પતંગ રસીયાઓથી હાઉસ ફૂલ રહ્યા હતા. જ્યારે માર્ગો સુમસામ જોવા મળ્યા હતા.
મંદિરોમાં દાન કરવા ભારે ભીડ
મકર સંક્રાત દાન-પૂણ્યનો પણ તહેવાર હોવાથી સવારે શ્રધ્ધાળુઓ દ્વારા ગાયમાતાને ઘૂઘરી ખવડાવી હતી. તો અનેક લોકો મંદિરોમાં દર્શન કરીને ગરીબોને બોર, તલ સાંકળી, ચીકી, શેરડી, મમરાના લાડુ વિગેરેનું દાન કર્યું હતું. શહેરના વિવિધ મંદિરોમાં મોડી સવાર સુધી દાન-પૂણ્ય કરનારાઓની ભારે ભીડ જોવા મળી હતી. માંડવી અંબા માતાના મંદિર ખાતે લોકોનો ભારે ધસારો રહ્યો હતો. મંદિરોની બહાર ભીક્ષુકોનો પણ ભારે ધસારો જોવા મળ્યો હતો.
ફિલ્મી ગીતોથી ટેરેસો ગુંજી ઉઠ્યા
ઉત્સવપ્રિય વડોદરાના લોકો દ્વારા છેલ્લા પંદર દિવસથી અદકેરા ઉત્તરાયણ પર્વને ઉત્સાહભેર મનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જે દિવસ આવી પહોંચતા લોકોનો ઉત્સાહ પરાકાષ્ઠાએ જોવા મળ્યો હતો. સૂર્યનારાયણ નીકળે તે પહેલાં પતંગ રસીયાઓ ટેરેસો ઉપર પહોંચી ગયા હતા અને રંગબેરંગી પતંગોથી અવકાશી યુધ્ધ ખેલવાની શરૂઆત કરી દીધી હતી. વહેલી સવારથીજ પતંગ રસીયાયોએ ટેરેસો ઉપર પૂર્વ રાતથીજ ગોઠવી દીધેલી ડી.જે. સિસ્ટમોમાં ગીતો વગાડવાનું શરૂ કરી દીધું હતું. જેમાં પતંગ રસીયાઓની કાપ્યો છે...લપેટ..લપેટ..ની ચિચીયારોએ ફિલ્મી ગીતોના અવાજને પણ દબાવી દીધો હતો.
રાજકીય અગ્રણીઓએ પતંગો ચગાવ્યા
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરાયણના દિવસે સુસવાટા મારતા ઠંડા પવન સાથે ઠંડીનો માહોલ રહેતા પતંગ રસીયાઓને સ્વેટર-જેકેટથી સજ્જ થઇને અવકાશી યુધ્ધ ખેલવાની ફરજ પડી હતી. કેટલાંક યુવાન ગૃપો દ્વારા સમુહમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તો વડોદરાના રાજકીય અગ્રણીઓ દ્વારા પણ સમુહ ઉત્તરાયણ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં સાંસદ રંજનબહેન ભટ્ટ, મેયર કેયુર રોકડીયા, સ્થાયી સમિતીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ, તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોષી, પ્રવક્તા નિશાંત રાવલ, કોંગ્રેસ અગ્રણી ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ) સહિતના રાજકીય અગ્રણીઓ દ્વારા મકર સંક્રાતની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ઉંધીયુ-જલેબીનું ભારે વેચાણ
મકરસંક્રાતિમાં ઉંધીયુ અને જલેબી ખાવાનો ભારે મહિમા હોઇ, સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ફરસાણની દુકાનો તેમજ માર્ગો ઉપર ખોલી દેવામાં આવેલા ઉંધીયુ-જલેબીના સ્ટોલ ઉપર ઉંધીયું-જલેબી ખરીદવા માટે પણ લોકોની ભારે ભીડ રહી હતી. બપોરે જમવાના સમય પૂર્વે પણ ઉંધીયુ-જલેબીની દુકાનો પણ લોકોનો ભારે ધસારો રહ્યો હતો. કેટલાંક સ્ટોલો ઉપર લાંબી કતારો જોવા મળી હતી. ટેરેસો ઉપરજ પતંગ રસીયાઓએ ઉંધીયુ-જલેબીની જયાફત માણી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.