રાવપુરા ટાવર પાસે મોડી રાત્રે 11-30 વાગ્યાના અરસામાં બે બાઇક અથડાયા બાદ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં બંને કોમના ટોળા સામે ધસી આવતા પથ્થરમારો થતાં નાસભાગનાં દૃશ્યો સર્જાયાં હતાં. બનાવને પગલે રાવપુરા ટાવરથી જ્યુબિલીબાગ સુધી બંને કોમના ટોળા એકત્ર થતાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો. ટોળાએ કોઠી પોળની સાંઈ બાબાની મૂર્તિને ખંડિત કરી પથ્થરમારો કરી 10થી વધુ વાહનો અને લારીઓની તોડફોડ કરી હતી. અથડામણમાં 4 જણને ઇજા થઈ હતી.
સાંઈ બાબાની પ્રતિમાને ખંડિત કરી પથ્થરમારો કર્યો
રાવપુરા ટાવર પાસે મોડી રાત્રે 2 બાઇક અથડાયા બાદ બોલાચાલી થઈ હતી. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતાં તલવાર સાથે ટોળા રોડ પર ધસી આવ્યા હતા. એક તબક્કે 300થી 400 માણસનું ટોળું રોડ પર ધસી આવતાં વાતાવરણ તંગ બન્યું હતું. તોફાની તત્ત્વોએ કોઠી પોળની સાંઈ બાબાની પ્રતિમાને ખંડિત કરી પથ્થરમારો કર્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.
રાત્રે જ મૂર્તિની પુન: સ્થાપના કરાઈ
પથ્થરમારામાં 3 જણને ઇજા થતાં સયાજીમાં ખસેડ્યા હતા. બીજી તરફ સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે વિસ્તાર કોર્ડન કર્યો હતો. જ્યારે ભાજપ અગ્રણી ભાર્ગવ ભટ્ટને રાત્રે જ કોમ્બિંગ કરવા રજૂઆતો કરી હતી અને વાતાવરણ વધુ ન ડહોળાય તે માટે રાત્રે જ મૂર્તિની પુન: સ્થાપના કરવામાં આવી હતી.
વાહન ચાલકોને અટકાવી અટકાવી માર્યા
બંને કોમના ટોળા વચ્ચે તંગદીલી વ્યાપી જતા બંને કોમના ટોળા રોડ પર ઉમટી આવ્યા હતા જેમાં ટોળાઓએ સ્થાનિક લોકોને મોબાઈલ ઉપર વિડિયો રેકોર્ડિંગ કરતા અટકાવ્યા હતા અને વાહન ચાલકોને અટકાવી અટકાવીને માર્યા હતા. એક તબક્કે દોઢસોથી બસો લોકો રાવપુરા રોડ પર ઉમટી પડતાં પૂર્વ આયોજિત કાવતરાની પણ શંકા સેવાઇ રહી છે.
અકસ્માતમાં માથાકૂટ થતા ઘટના બની છે
અકસ્માતમાં માથાકૂટ થવાને પગલે રાવપુરા વિસ્તારમાં ઘટના બની હતી. સમગ્ર ઘટના શું છે તે અમે સમજ્યા પછી તમને બ્રિફ કરીશું. - ડો.શમશેરસિંઘ, પોલીસ કમિશનર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.