ક્રાઈમ બ્રાન્ચના હોવાનું જણાવીને જરોદ પોલીસ મથકના મનાતાં 4 પોલીસ જવાનો અને એક ફોલ્ડર તરીકે જાણીતા પોલીસના મળતિયાએ શહેરના કલાલી વિસ્તારમાં આવી એક ખેડૂતનું અપહરણ કરી 9 લાખ રૂપિયાની ખંડણી માંગી અપહરણ કર્યું હોવાની રજૂઆત જિલ્લા પોલીસ વડાને થઈ છે. ભોગ બનેલા ખેડૂતે કહેવાતા પોલીસકર્મીઓ અને ખાનગી માણસ સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી છે. જેને લઇ પોલીસ બેડામાં ચકચાર જાગી છે. બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ પણ આ બાબત ગંભીર હોવાનું જણાવી તાત્કાલિક તપાસ હાથ ધરવાની સૂચના આપી છે.
લેખિત રજૂઆતમાં નામ સાથે જણાવાયું છે કે, જરોદ પોલીસમથકમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ જવાનોએ રૂપિયાની લેતીદેતી મામલે કલાલીના રહેવાસીને તેના ઘરેથી લઇ જઈ ધરપકડ કરવાના નામે રૂપિયાની માંગણી કરીને હાલોલ વડોદરા રોડ પર ઉતારી દીધો હતો. આ મામલે જરોદ પોલીસના પોલીસ કર્મીઓ વિરુદ્ધ અપહરણ અને ખંડણીણી ફરિયાદ જીલ્લા પોલીસ વાળા સમક્ષ કરવામાં આવી છે. આ અંગે કેતનભાઈએ જીલ્લા પોલીસ વડા સમક્ષ જરોદ પોલીસ મથકના મનાતાં ત્રણ પોલીસ જવાન અને અન્ય એક બહારના શખ્સ વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
શહેરના કલાલી વિસ્તારમાં આવેલી શિવાંશ શરણમ ફ્લેટમાં રહેતા કેતન પ્રવીણભાઈ પટેલ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત 15 ઓગસ્ટે તેઓ ઘરે હતા ત્યારે કેટલાક ઇસમો તેઓના ઘરમાં ધસી આવ્યા હતા અને તે પોતે વોન્ટેડ હોવાનું જણાવી ઘરમાં તિજોરી સહીત અન્ય કબાટો ખોલીને ચેકિંગ શરુ કર્યું હતું. જે બાદ તેઓની ધરપકડ કરવાની છે તેમ કહીને તેઓને ખાનગી ગાડીમાં બેસાડીને જરોદ તરફ લઇ ગયા હતા. રસ્તામાં પોલીસના ક્રાઈમ બ્રાન્ચના સ્વાંગમાં આવેલા ઇસમોએ પોતે જરોદ પોલીસ મથકથી આવ્યા હોવાની ઓળખ આપી હતી અને તમે પરેશભાઈ પાસેથી લીધેલા રૂા.9 લાખ રૂપિયા મંગાવીને તમારે તાત્કાલિક આપવા પડશે તેમ જણાવ્યું હતું.
આ ગંભીર ફરિયાદ છે, તત્કાળ તપાસ કરવામાં આવશે : જિલ્લા પોલીસ વડા
જિલ્લા પોલીસ વડા રોહન આનંદે આ અંગે જણાવ્યું હતું કે, કેતન પટેલની લેખિત રજૂઆત ગંભીર છે. હાલમાં આ ચાર કોણ છે, પોલીસ કર્મી છે કે હોમગાર્ડ કે પછી ટીઆરબીના જવાન છે એની તપાસ ચાલી રહી છે. કેતનભાઈનું અપહરણ કેમ કરાયું? એમનો ભૂતકાળ શું છે? એની તપાસ થશે અને કસૂરવાર સામે કડક કાર્યવાહી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.