આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શહેરમાંથી શ્રવણ તીર્થયાત્રા હેઠળ 6 હજાર સિનિયર સિટીઝન્સને ધાર્મિક સ્થળોએ જાત્રા પર મોકલવામાં આવ્યા હતા. શહેરના નવલખી મેદાન ખાતેથી રવિવારે 101 બસોને મહેસૂલ મંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું. મુસાફરી દરમિયાન તબીબોની ટીમ પણ બસમાં સાથે રખાઈ હતી.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરામાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વયોવૃદ્ધોને 101 બસ દ્વારા શ્રવણ તીર્થયાત્રા હેઠળ ધાર્મિક સ્થાનો પર દર્શનાર્થે પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના નવલખી મેદાનથી બસોમાં વયોવૃદ્ઘોને યાત્રા માટે પ્રસ્થાન કરાવતાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શ્રવણે તેના માતા-પિતાને કાવડમાં લઇ જઇ યાત્રા કરાવી હતી, ત્યારે હવે સરકારે શ્રવણ તીર્થયાત્રા યોજના શરૂ કરી છે અને સરકાર શ્રવણ બની છે.
જે હેઠળ શહેરના 6 હજાર સિનિયર સિટીઝન ડાકોર, વડતાલ, કોટ ગણેશ, બૂટભવાની મંદિર તેમજ નાર સ્વામિનારાયણ મંદિર સહિતનાં ધાર્મિક સ્થાનોના દર્શન કરાવવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રવાસ નિ:શુલ્ક હતો. તેમાં ભોજન અને ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન સિનિયર સિટીઝન્સ સાથે ડોક્ટરની એક ટીમ પણ જોડાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.