વડોદરા વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે એક પુરુષ અને મહિલાએ પસાર થઈ રહેલ ટ્રેન નીચે પડતું મૂકીને જીવાદોરી ટૂંકાવી લીધી હોવાની ઘટના સામે આવી હતી. પોલીસ તપાસમાં આ દંપતી વડોદરાના ખોડિયારનગર ઉપવન હેરિટેજમાં રહેતું હતું. આ યુવાન વેપારી દંપતીએ ગૃહક્લેશમાં આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. રાત્રે દંપતી ઘરે ન આવતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી. દરમિયાન તેઓને બનાવની જાણ થતાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં.
સ્ટેશન પર એક કલાક રોકાયાં
વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં ઉપવન હેરિટેજમાં માતા-પિતા સાથે રહેતા 24 વર્ષીય સૂરજ રામમણી પાંડે અને તેમની 23 વર્ષીય પત્ની નિલુબહેન પાંડેએ મોડી સાંજે વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે જઇ પસાર થતી ગુડ્ઝ ટ્રેનની સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સૂરજ અને તેની પત્ની નિલુ સાથે મળીને હરણી એરપોર્ટ પાસે ક્લિનિંગની ચીજવસ્તુઓની શોપ ચલાવતાં હતાં. મંગળવારે સાંજે 5 વાગે દુકાન બંધ કરીને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પહોંચ્યાં હતાં અને એક કલાક સુધી સ્ટેશન ખાતે રોકાયા બાદ અંતિમ પગલું ભરી લીધું હતું.
રેલવે પોલીસ પહોંચી ગઈ
મંગળવારે સમી સાંજે વડોદરા નજીક વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે એક મહિલા અને પુરુષે પસાર થઈ રહેલ ગુડ્ઝ ટ્રેનની સામે પડતું મૂકીને આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી હતી. રેલવે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. બીજી બાજુ મૃતકોની ઓળખ માટે તપાસ શરૂ કરી હતી. દરમિયાન મોડી રાતથી દુકાનેથી ઘરે ન આવનાર દંપતીની શોધખોળ કરી રહેલાં પરિવારજનોને સવારે અખબારો દ્વારા ખબર પડી હતી કે, એક યુવાન અને યુવતીએ ટ્રેન નીચે પડતું મૂક્યું છે, અને તેઓનો મૃતદેહો સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યા છે.
બે વર્ષ પહેલાં લગ્ન થયાં
દરમિયાન દંપતીનાં પરિવારજનો સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે દોડી આવ્યાં હતાં. મૃતદેહોની ઓળખ કરી હતી. ત્યાર બાદ તેઓએ રેલવે પોલીસનો સંપર્ક કરતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી. પોલીસ તપાસમાં આપઘાત કરનાર સૂરજ પાંડે અને નિલુ પાંડે છે. તેઓ ખોડિયારનગર ઉપવન હેરિટેજમાં રહેતાં તેમજ પતિ-પત્ની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ગૃહકલેશમાં તેઓએ આપઘાત કરી લીધો હોવાનું પણ બહાર આવ્યું હતું. મૂળ યુપીના પ્રયાગરાજના વતની સૂરજ પાંડે અને નિલુ પાંડેનાં લગ્ન બે વર્ષ પૂર્વે થયાં હતાં.
સવારે ખબર પડી
પત્ની સાથે આપઘાત કરી લેનાર સૂરજ પાંડેના મોટા બાપાએ જણાવ્યું હતું કે, મોડી રાત દરમિયાન સૂરજ અને તેની પત્ની નિલુ ઘરે ન આવ્યાં ન હતાં. સૂરજને ફોન કરવા છતાં તેને ફોન રિસીવ કર્યો ન હતો. જેથી અમે ચિંતાતૂર બની ગયા હતા. આખી રાત શોધખોળ કરવા છતાં, તેઓનો પત્તો મળ્યો ન હતો. દરમિયાન આજે સવારે અખબારોમાં સમાચાર વાંચતા અમે સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં જઈને તપાસ કરતા સૂરજ અને નિલુની લાશ હોવાનું બહાર આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.