શહેરમાં ગંદાપાણી અને લો પ્રેશરથી પાણી આવવાની સમસ્યા પાલિકાના માથાનો દુખાવો બની છે. ત્યારે પાલિકાએ ગંદા પાણીના ફોલ્ટ શોધી સમારકામ હાથ ધર્યું છે. પાણી પુરવઠાની ટીમે નવાપુરા, આર.વી દેસાઈ તેમજ માંડવી રોડ પર ગંદા પાણીના 4 ફોલ્ટી કનેક્શન શોધી સમારકામ કરતાં સમસ્યાનું નિવારણ થાય તેવી આશા બંધાઇ છે.
શહેરમાં પાણી અને ડ્રેનેજ લાઈનનું નેટવર્ક અણધડ રીતે ફેલાયું છે. જેથી અનેકવાર પાણીની લાઈનમાં ભંગાણ થઇ ગંદું પાણી આવતું હોવાની અનેક બૂમો ઊઠતી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં વર્ષો જૂની પાઇપ લાઈનો જર્જરિત બની છે. જેના કારણે પણ દુર્ગંધવાળું અને કાળા રંગનું પાણી આવે છે. ત્યારે હવે પાલિકાની ટીમોએ યુદ્ધના ધોરણે ગંદા પાણીના ફોલ્ટ શોધી તેનું સમારકામ શરૂ કર્યું છે.
આર.વી દેસાઈ રોડ પર જવાહર સોસાયટીના બ્લોક 11થી 16માં ગંદુ પાણી આવતું હોવાથી ટીમે 100 મીટરની વ્યાસની લાઈન કાપી ફોલ્ટ શોધ્યો હતો. બીજી તરફ માંડવી રોડ પર વિજય વલ્લભ હોસ્પિટલ પાછળ બેકરી નજીકથી પણ ટીમે 2 ફોલ્ટી કનેકશન શોધી બંધ કરતા ચોખ્ખું પાણી મળતું થયું હતું. જ્યારે નવાપુરા મહેબૂબપુરામાં પણ ગંદા પાણીનો સ્ત્રોત શોધી સમારકામ કરવામાં આવ્યું હતું. શહેરના વારસિયા વીમા દવાખાના પાસે, માંડવી પટોળીયા પોળ, હુજરાત ટેકરા, ફતેપુરા સરસિયા તળાવ પાસે, સુલતાનપુરા ઘડિયાળી પોળ પાસે બંધ હાલતમાં પડેલા 5 હેન્ડપંપને ચાલુ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.