સોસાયટીના મહિલા પ્રમુખને ત્રણ શખ્સે મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મકરપુરા વિસ્તારમાં આવેલી વૈકુઠધામ સોસાયટીમાં રહેતાં પારુલબેન આચાર્ય છેલ્લા 7 મહિનાથી સોસાયટીનાં પ્રમુખ છે. તેમને પ્રમુખ પદેથી હટાવવા માટે સોસાયટીના સભ્યો વારંવાર પારુલબેનના ચારીત્ર્ય પર શંકા રાખી જેમ તેમ બોલી અપમાનિત કરતા હતા. સોમવારે પારુલબેન કચરો નાખવા માટે ઘરની બહાર આવ્યાં હતાં ત્યારે સુજીત પાઠક, અજુબેન સિંગ અને ભારતીબેન બામણિયા તેમને જેમ તેમ બોલવા લાગ્યા હતા.
સુજીત પાઠકે પારુલબેનને ધમકી આપી હતી કે, સોસાયટીની બહાર નીકળ, કોઈ પણ વાહનથી તને અથાડીને જાનથી મારી નાખીશ. આ વિશે પારુલબેને જણાવ્યું હતું કે, જ્યારથી હું પ્રમુખ બની છું ત્યારથી સોસાયટીમાં કાયદાથી સંચાલન થાય છે જે બધાથી જોવાતું નથી. પારુલબેને છેવટે સુજીત પાઠક, અજુબેન સિંગ અને ભારતીબેન બામણિયા વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.